- કોરોના વાયરસના સંક્રમણને લઇને WHOના ડાયેરક્ટરનું નિવેદન
- કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું જરૂરી: ટેડ્રોસ ધેબ્રેયસસ
- તેના માટે ચીનના વુહાનથી સ્ટડી શરૂ કરવામાં આવશે
લંડન: કોરોના વાયરસના સંક્રમણને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ધેબ્રેયસસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું ખૂબજ આવશ્યક છે. આ વિશે WHOનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આવું કરીને અમે ભવિષ્યમાં ઊભી થનારી આ પ્રકારની સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકીએ છીએ. બીજી તરફ સકારાત્મક સમાચાર એ છે કે અમેરિકાની દવા નિર્માતા મોડર્ના પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકા અને યૂરોપિયન રેગ્યૂલેટર્સને અપ્લાય કરશે. કંપનીએ દાવો કર્યો છે કે તેની વેક્સિન કોરોનાથી લડવામાં 94 ટકા કારગર છે.
ટ્રેડોસે વધુમાં ઉમેર્યું હતું કે અમે તેના સ્ત્રોતને જાણવા માટે પ્રયાસરત છીએ. તેના માટે ચીનના વુહાનથી સ્ટડી શરૂ કરવામાં આવશે. જાણવાનો પ્રયાસ કરીશું કે ત્યાં શું થયું હતું. આ ઉપરાંત જોવામાં આવશે કે કોઇ નિષ્કર્ષ પર પહોંચવા માટે બીજા વિકલ્પ શું છે.
હાલમાં કોરોના વાયરસથી સૌથી વધુ મોત યૂરોપમાં થઇ રહ્યા છે. અહીં દરરોજ 3-4 હજાર લોકોના કોરોના સંક્રમણથી મોત થઇ રહ્યા છે. અહીં ઇટલી, પોલેન્ડ, રશિયા, યૂકે, ફ્રાન્સ સહિત 10 દેશ એવા છે જ્યાં દરરોજ 100 થી 700 લોકો જીવ ગુમાવી રહ્યા છે.
યૂરોપના 48 દેશોમાં અત્યારસુધી સંક્રમણથી 3.86 લાખ લોકોના મોત થયા છે. દૈનિક થનારા મોતના બીજા નંબર પર ઉત્તર અમેરિકા અને ત્રીજા નંબર પર એશિયા છે. ઉત્તર અમેરિકામાં દૈનિક 1500 થી 2000 દર્દીના મોત નિપજ્યા છે. બીજી તરફ એશિયામાં દૈનિક 1400 થી 1800 લોકો જીવ ગુમાવી રહ્યા છે.
નોંધનીય છે કે, અમેરિકામાં હાલ સૌથી વધુ 50 લાખ એક્ટિવ કેસ છે. બીજી તરફ ફ્રાન્સમાં આવા દર્દીઓની સંખ્યા 20 લાખ, ઈટલીમાં 7.94 લાખ, બ્રાઝીલમાં 5.63 લાખ એક્ટિવ કેસ છે. ભારતમાં આવા દર્દીઓની સંખ્યા 4.46 લાખ છે. દુનિયામાં અત્યાર સુધી કોરોનાના 6 કરોડ 31 લાખ 883 કેસ સામે આવી ચૂક્યા છે.
(સંકેત)