- તાલિબાનનો દાવો
- ત્રણ મહિનામાં 600 IS આતંકીઓની ધરપકડ કરી
- હવે ISથી ખતરો નથી: તાલિબાન
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી ત્યાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે અણબનાવ વધી ગયો છે અને આ બંને વચ્ચે વારંવાર તકરારની ઘટનાઓ બની રહી છે. આ વચ્ચે તાલિબાન સરકારે એવો દાવો કર્યો છે કે તેઓએ છેલ્લા ત્રણ મહિનામાં દેશભરમાંથી ઇસ્લામિક સ્ટેટના 600 સભ્યોની ધરપકડ કરી છે.
તાલિબાન સરકારના ગુપ્તચર પ્રવક્તા ખલીલ હમરાજે આ અંગે દાવો કર્યો કે, જે આતંકીઓની ધરપકડ કરાઇ છે તે વિધ્વંસક કાર્યો અને હત્યાઓમાં સંડોવણી હતી. આ ધરપકડ કરાયેલા લોકોમાં કેટલાક ટોચના સભ્યો પણ છે. તાલિબાનના કબ્જા બાદ IS અનેક હુમલાઓને પણ અંજામ આપી રહ્યું છે અને મોટા ભાગના હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે.
હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા. મૃતકોમાં કાબુલ મિલિટરી કોર્પ્સના મુખ્ય અને વરિષ્ઠ સભ્ય મૌલવી હમદુલ્લાહ મુખ્લિસનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં ઈસ્લામિક સ્ટેટે શિયા મુસ્લિમોને ચેતવણી આપી હતી કે તેમને દરેક જગ્યાએ નિશાન બનાવવામાં આવશે. ઇસ્લામિક સ્ટેટે બે શિયા મુસ્લિમો પર ઘાતક બોમ્બ ધડાકા કર્યા હતા. અહીં પણ આત્મઘાતી હુમલાખોરો નમાજ દરમિયાન લોકોની ભીડમાં છુપાઈ ગયા હતા અને પછી બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી.
મહત્વનું છે કે, થોડાક દિવસ પહેલા ઇસ્લામિક સ્ટેટથી રહેલા ખતરા પર વાત કરતા તાલિબાને કહ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટથી હાલમાં કોઇ ડરવાની જરૂર નથી કારણ કે કેટલાક પ્રાંતોમાં તેના 21 ઠેકાણાને નષ્ટ કરી દેવાયા છે. અમારા પ્રયાસો ISને ત્યાંથી જડમૂળથી નાબૂદ કરવા માટે ચાલુ છે.