
ધ્રાંગધ્રામાં કરોડોના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બન્યાને 7 વર્ષ થયાં પણ હજુ ઉદ્ઘાટન કરાયું નથી
સુરેન્દ્રનગરઃ રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ તંત્ર અને અધિકારીઓએની નિષ્ક્રિયતાને કારણે યોજના સાકાર થયા બાદ પણ ઉદઘાટનને અભાવે પ્રજા તેનો ઉપયોગ કરી શકતી નથી. આવો જ એક કિસ્સો ઝાલાવાડ પંથકમાં પ્રકાશમાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રાજપર રોડ પર 7 વર્ષ પહેલાં રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલ ઉદ્દઘાટનના અભાવે દિવસે દિવસે ખંડેરમાં ફેરવાઈ રહી છે. ત્યારે આ હોસ્પિટલનુ તાકીદે ઉદ્દઘાટન કરવામા આવે તેવી લોક માગણી ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 પથારીની રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રાના રાજપર રોડ પર બનાવવામાં આવી હતી. ત્યારે વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળવાની આશા બંધાય હતી. પરંતુ આયુર્વેદિક હોસ્પિટલ બન્યાને 7 વર્ષ જેટલો સમય વિતી ગયા છતાં હજી આયુર્વેદિક હોસ્પિટલનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ નથી. ત્યારે ઉદ્દઘાટન પહેલા હોસ્પિટલ દિન પ્રતિદિન ખંડેરમાં ફેરવાઇ રહી છે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા તાત્કાલીક આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરાય તેવી માગણી ઊઠી છે.
ધ્રાંગધ્રાના નગરજનોના કહેવા મુજબ શહેરમાં બાયપાસ રોડ પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સાત વર્ષથી ઉદ્દઘાટનની રાહ જોઈ રહી છે. ત્યારે જો આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તો લોકોને વધુ સારી ઘર બેઠા આરોઞ્ય સુવિધા પ્રાપ્ત થાય અને સારવાર માટે મોંઘા ખર્ચમાંથી બચી જાય અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ બને તેમ છે.