1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ
સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

0
Social Share

દાંતિવાડાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ આપી હતી.

દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પાંચસો  વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.  તેમાંથી ચોત્રીસ  વિદ્યાર્થીઓને “વિદ્યા વાચસ્પતિ”ની પદવી, એકસો પંદર  વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર પદવી અને ત્રણસો સાઠ  વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી. તો કેટલાક ડિગ્રી ધારકોને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સાત  ચાન્સેલર ગોલ્ડ મેડલ, 6 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને પચીસ ડોનર ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળી કુલ 38 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. તેમજ સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું, જવાબદાર નાગરિક બનવું અને વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું.

રાજયપાલએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ સાગરના ખારા પાણીને મીઠું બનાવી વર્ષારૂપે જ્યાં જરૂરિયાત હોય ત્યાં વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: ના આપણા સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આઈ.સી.આર નો રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે રાસાયણિક ખાતર, યુરિયા ડીએપીના વપરાશથી જમીન બંજર , ઝેરીલી બની ગઈ છે, ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી પૃથ્વી પ્રદુષિત બની છે, પર્યાવરણ સુરક્ષિત નથી રહ્યું ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને તેનો પ્રસાર પ્રચાર કરવા પણ વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણે દીક્ષાંત સમારોહમાં સૌને આવકારતાં યુનિવર્સિટીની શૈક્ષણિક માહિતી આપતાં જણાવ્યું કે, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હેઠળ આઠ (08) કોલેજો અને પાંચ (05) પોલિટેકનિક છે, આ સિવાય છવ્વીસ (26) સંશોધન સંસ્થાઓ અને સત્તર (17) વિસ્તરણ સંસ્થાઓ છે, જે શિક્ષણ, પાક સુધારણા, સંસાધન વ્યવસ્થાપન, બીજ ઉત્પાદન અને કૃષિ તકનીકના વિસ્તરણ ક્ષેત્રે કાર્યરત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code