ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે, તો હવામાન વિભાગે આજે રાજયમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે. રાજ્યમાં વરસાદના કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 13 અને SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 27 તારીખ સુધી દરિયો ન ખેડવા સુચન આપવામાં આવી છે..
મંગળવારથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે તાપીમાં જળભરાવની સ્થિતિ સર્જાતાં જન જીવન પ્રભાવિત થયું છે. જ્યારે ભારે વરસાદના કારણે કેટલીક શાળાઑમાં રજા જાહેર કરવામાં આવી છે. વ્યારા શહેરમાં આવેલી મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી મધ્ય, પુર્વ અને પુર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં આજે અને કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, આવનારા બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મૂમાં નૈઋત્યનો વરસાદ આગળ વધે તેવી સંભાવના છે. આવનારા દિવસોમાં દિલ્હી- એનસીઆર વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આજ અને કાલ માટે યલો એલર્ટ જારી કર્યું છે.