
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના વિકાસ કામોના લોકાર્પણથી માંડીને ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓનો જિલ્લાઓમાં કાર્યક્રમો યોજવામાં આવશે, આ અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી કામગીરી સોંપવામાં આવી હતી..
ગુજરાત સરકાર દ્વારા આગામી 18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી રાજ્યભરમાં વણથંભી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ સાથે નવા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આગામી 18,19 અને 20 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા યોજાશે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં અને વિવિધ ગામડાઓમાં થયેલા કામોના લોકાર્પણ આ ત્રણ દિવસ સુધી કરવામાં આવશે.
આ ઉપરાંત અન્ય નવા કામોના ખાતમુહૂર્ત પણ મંત્રીઓ દ્વારા કરવાનું આયોજન સરકાર અને ભાજપ સંગઠન દ્વારા નક્કી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન જ રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારો માટે કરેલા વિકાસ આયોજનો અને આગામી કામો અંગે સભાઓ તેમજ રાત્રી બેઠકો યોજી લોકોને માહિતગાર કરશે.ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમગ્ર કાર્યક્રમનું સંકલન રાજ્યના પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવશે અને આ માટે તમામ મ્યુનિસિપલ કમિશનર અને તમામ જિલ્લા કલેક્ટરોને વણથંભી વિકાસયાત્રા અન્વયે તૈયારીમાં લાગી જવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત ત્રણ દિવસના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત જેવા આ કાર્યક્રમ અંતર્ગત 15માં નાણાપંચના કામો તેમજ જિલ્લા આયોજન મંડળ દ્વારા પુરા થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અલગ-અલગ વિભાગના મંત્રીઓ દ્વારા જિલ્લાવાર કરવામાં આવશે