
અમરેલીઃ શ્રમિકોને રોજગારી આપતી મનરેગા યોજનામાં પણ ભષ્ટ્રાચારના આક્ષેપો થતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના 36 જેટલા ગામોમાં મનરેગા યોજનામાં ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. જેમાં મનરેગા યોજનામાં વર્ષ 2015માં આચરેલા કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડ 2015થી લઈ 2019 સુધીમાં કરાયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ વિજય સોનગરાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારની મનરેગા યોજના અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરી દરમિયાન હિસાબી વર્ષ અને 2015થી લઈ 2019ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના 36 જેટલા અલગ અલગ ગામડામાં મનરેગા યોજના લાભાર્થીઓના નામે નકલી જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના અન્ય બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલી લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી ખોટું રેકડ ઉભું કરી રેકડ ખોટું બનાવટી હોવાનું જાણવા છતાં સાચા રેકડ તરીકે ઉપયોગ કરી પરસ્પર એક બીજાને સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી સતાનો દૂર ઉપયોગ કરી જિલ્લા વિકાસ એજન્સી અમરેલી આઈ.ડી.પાસવોર્ડનો દૂર ઉપયોગ કરી મનરેગા યોજનાના સરકારી નાણા રૂ.3 કરોડ 30 લાખ 26 હજાર 548ની ઉચાપત કરી સરકાર સામે વિશ્વાસઘાત, ઠગાઈ કરી એક બીજાને મદદ કરી ગુનો આચર્યાની જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જાફરાબાદના વિવિધ ગામડામાં લાભાર્થીઓ નામે ડૂપ્લીકેટ જોબનકાર્ડ બનાવી ખોટા ચુકવણા કરી સરકારને નુકસાન પોહચાડી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ પહેલા તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ તપાસ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આ કૌભાંડ એટલું ગૂંચવાયેલું હતું કે, અધિકારીઓ અટવાઇ જતા હતા જેના કારણે ફરિયાદ નોંધવામાં ખૂબ સમય લાગ્યો છે. પોલીસમાં 9 પેઈજની એફ.આઈ.આર નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા 36 જેટલા ગામડાના સરપંચોથી લઈ તલાટી મંત્રી, તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીની પણ પૂછપરછ કરાશે. અને તેમના નિવેદનો લેવામા આવશે. પોલીસ ફરિયાદને લીધે કૌભાંડકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.