મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે બાળકોના જન્મદરમાં નોંધાયો ઘટાડો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારીની અસર બાળકોના જન્મદર ઉપર પણ પડી છે. મુંબઈમાં બાળકોના જન્મદરમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં પણ 2020ની સરખામણીમાં બાળકનો જન્મદર ઘટ્યો હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષ 2021માં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરીથી વેપાર-ધંધા ધમધમતા થયા છે અને જનજીવન ફરીથી પાટે ચડ્યું છે. કોરોનાને પગલે વર્ષ 2020માં મોટી સંખ્યામાં શ્રમજીવીઓએ હિજરત કરીને પોતોના વતન જતા રહ્યાં હતા.
બીએમસીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 2019માં 1.48 લાખ બાળકોનો જન્મ થયો હતો. જેની સામે વર્ષ 2020માં 20 ટકાનો ઘટાડો થયો હતો. વર્ષ 2020માં 1.20 લાખ બાળકોનો જન્મ થયો હતો. ચાલુ વર્ષે 10 મહિનાના સમયગાળામાં 82231 બાળકોનો જન્મ થયો હતો. આમ દર મહિને સરેરાશ 8 હજાર બાળકોનો જન્મ થયો છે. આવી જ રીતે 2020માં દર મહિને સરેરાશ 10 હજાર બાળકનો જન્મ થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં બાળકીઓના જન્મદરમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષ 100 છોકરાઓની સામે 92 દીકરીઓનો જન્મ થયો હતો. 2020માં 62174 છોકરા અને 54014 છોકરીઓનો જન્મ થયો હતો.
મુંબઈમાં ઘરે બાળકોના જન્મદરની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2015માં 1465 બાળકોનો ઘરે જ જન્મ થયો હતો. વર્ષ 2019માં 356 અને 2020માં આ આંકડો ઘડીને 159 ઉપર પહોંચ્યો છે.
(Photo-File)