
અમદાવાદઃ અમદાવાદ, સુરત ,વડોદરા સહિત શહેરોના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ પર ઊભી રહેતી ઈંડાં-નોનવેજની લારીઓને હટાવવા માટે ભાજપના સત્તાધીશોએ આદેશો આપી દીધા હતા, જેને પગલે મોટો હોબાળો થતાં છેવટે મુખ્યમંત્રીને દખલગીરી કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં ભાજપના સત્તાધીશોના મનસ્વી નિર્ણયોથી લોકોમાં રોષ ફેલાતા પ્રદેશ ભાજપના નેતાઓ ખૂબ જ નારાજ થયા છે. આ વિવાદ થતાં હવે અમદાવાદમાં નોનવેજ-ઇંડાંની લારીઓને બહુ હેરાન ન કરવા અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. તેથી લારી હટાવો ઝુંબેશ પર બ્રેક મારી દેવાઈ છે. કેટલાક વિસ્તારોમાં કામગીરી દેખાડવા માટે દબાણો દૂર કરવા કહ્યું છે, પરંતુ આ વિવાદ ઊભો થતાં હાલ શાંત પાડવા માટે ટ્રાફિક અડચણના નામે ઈંડાં-નોનવેજ સહિત બીજી લારીઓને પણ ઉપાડી લેવા જણાવ્યું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાંથી જાહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત ધાર્મિક સ્થાનો, સ્કૂલ, કોલેજો, ગાર્ડન, હોલ વગેરે સ્થળોએ 100 મીટરની મર્યાદામાં જાહેરમાં નોનવેજ- ઇંડાંની લારીઓ પર પ્રતિબંધના નિયમની જાહેરાત બાદ હોબાળો થયો હતો. મુખ્યમંત્રીની સ્પષ્ટતા બાદ બીજા દિવસથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક અડચણરૂપ તમામ લારીઓને ઉપાડી લીધી હતી. એક દિવસની કામગીરી બતાવવા માટે માત્ર કેટલાક વિસ્તારોમાં દબાણો દૂર કર્યાં હતાં. વિવાદને શાંત પાડવા માટે અધિકારીઓને હાલમાં ક્યાંય દબાણરૂપ લારી-ગલ્લા ન હટાવવા સૂચના આપી છે. જેથી હવે જાહેરમાં ઈંડાં-નોનવેજની લારીઓ ઉપરાંત તમામ લારીઓ ઊભી રહેશે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર જે નોનવેજ અને ઇંડાંની લારીઓ ઊભી રહે છે એને દૂર કરવાના આદેશ આપી દેવાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઊભી રાખી શકાય નહીં.