અમદાવાદ, 24 એપ્રિલ 2026: Narol police nab thief who was fleeing after stealing Rs 1 crore પાટનગર ગાંધીનગરના સેકટર-2માં એક એનઆરઆઈના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ 99.55 લાખની મત્તાની ચોરીને મધરાત બાદ કારમાં નાસી રહેલા ચોરને નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે કારને અટકાવીને પૂછતાછ કરતા ચોર પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો. અને ચોરે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની કાર લઇને જ ચોરી કરવા જતો હતો. આરોપી સામે કુલ 21 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરમાં સેક્ટર-2માં એક એનઆરઆઈના બંધ મકાનમાં એક કરોડ મત્તાની ચોરી કરીને ચોર પોતાની કારમાં પલાયન થયો હતો. મધરાત બાદ ચોરી કરીને ચોર કારમાં અમદાવાદના નારોલ તરફ આવી રહ્યો હતો. ત્યારે પેટ્રોલિંગમાં નિકળેલી નારોલ પોલીસે કાર અટકાવીને પૂછતાછ કરતા જ ચોર ગભરાઈ ગયો હતો. તેથી પોલીસને શંકા જતા લાલા આંખ કરીને વધુ પૂછતાછ કરતા ચોરે ગાંધીનગરથી ચોરી કરીને આવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આફ્રિકાના કોંગોમાં પરેશભાઇ શર્મા પરિવાર સાથે રહે છે. તેમનું એક મકાન ગાંધીનગર સેકટર-2માં છે. જ્યારે તેઓ લગ્નપ્રસંગમાં ભારત આવે ત્યારે તે મકાનમાં રોકાય છે. ગત 14 માર્ચે તેઓ ઘરને લોક મારીને આફ્રિકા ગયા હતા ત્યારે ચાવી તેમના પિતરાઇભાઇને આપી હતી. બુધવારે રાત્રે નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ચોર માલાભાઇ સમેચા(દેવીપૂજક)ને પકડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેને ગાંધીનગરમાં પરેશભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિતની મત્તા ચોરી હોવાનું જણાવ્યું હતું.
નારોલ પોલીસે પરેશભાઇનો સંપર્ક કરીને સમગ્ર બાબતે જાણ થતા પરેશભાઇને ચોરીની જાણ થઇ હતી. જેની કિંમત તપાસ કરતા 99.55 લાખ રૂપિયા ની મતાની ચોરી થઈ હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે કારમાં તમામ ડોક્યુમેન્ટ સાથે લઇને ફરતો હતો જેથી પોલીસ રોકે તો તમામ ડોક્યુમેન્ટ બતાવી દેતો હતો. આટલું જ નહિ શંકા ન જાય તે માટે પર્સનાલિટી એવી પાડતો હતો કે કોઇ ઓફિસર હોય તેમ ફરતો હતો. તેમજ ચોરીનો મુદ્દામાલ ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે વેચતો હતો.આરોપી સામે ગાંધીધામ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર સહિત 21 ગુના પોલીસ ચોપડે નોધાયે હોવાનું સામે આવ્યુ છે તેમજ એક વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે.

