સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવો સાથે કરી બેઠક, રસીના વેડફાટ અને ત્રીજી લહેરને લઇને કરી ચર્ચા
- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવો સાથે કરી બેઠક
- બેઠકમાં સોનિયા ગાંધીએ રસીના બગાડને લઇને ચિંતા વ્યક્ત કરી
- તે ઉપરાંત ત્રીજી લહેરને લઇને બાળકોની સલામતી પર પણ ભાર મૂક્યો
નવી દિલ્હી: આજે કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ડિજીટલ માધ્યમથી પાર્ટીના મહાસચિવો તેમજ રાજ્ય પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે દેશમાં કોરોના સામે રસીકરણની ગતિને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઇને જણાવ્યું હતું કે, ત્રીજી લહેરની આશંકાને પગલે ઝડપી તૈયારી કરવાની તેમજ બાળકોની સલામતી માટે પગલાં લેવાની આવશ્યકતા છે.
રસીકરણની ગતિ વધારવા અંગે સૂચન કર્યુ હતું કે, દૈનિક રસીકરણનો દર ત્રણ ગણો વધારવો પડશે, જેથી વર્ષાન્ત સુધીમાં 75 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી શકે. તેમા કોઇ શંકા નથી કે તે સંપૂર્ણપણે રસીના સપ્લાય તેમજ સ્ટોક પર આધારિત છે. આપણે કેન્દ્ર સરકાર પર દબાણ ચાલુ રાખવું જોઇએ. Vસોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રસીનો વેડફાટ ઓછો થાય તે સુનિશ્વિત કરવા સૂચન કર્યું હતું.
અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહાસચિવો અને પ્રભારીઓની બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે રસીકરણની ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાળકોની સલામતી પ્રાધાન્ય આપવા માટે કહ્યું હતું.
મહત્વનું છે કે, સંસદના ચોમાસાના સત્ર પહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ બેઠક બોલાવી હતી. ચોમાસું સત્ર જુલાઇમાં યોજાય તેવી સંભાવના છે.