
- કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય
- વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું
- 2 કલાકથી ઓછી સ્થાનિક યાત્રા દરમિયાન ફ્લાઇટમાં ભોજન નહીં મળે
નવી દિલ્હી: કોરોના સંક્રમણની સ્ફોટક સ્થિતિ વચ્ચે હવે નાગરિક વિમાન મંત્રાલયે તેને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય 2 કલાકથી ઓછો છે તેને ઉડાન દરમિયાન ફ્લાઇટમાં ભોજન મળશે નહીં.
વિમાન મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેથી એરલાઇનમાં ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી મળશે નહીં જેની યાત્રાનો સમયગાળો 2 કલાકથી ઓછો છે.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે, આ પ્રતિબંધ ગુરુવારથી લાગૂ થશે. ગત વર્ષે કોરોના વાયરસ લૉકડાઉન બાદ જ્યારે 25મેથી ઘરેલૂ ઉડાન સેવાઓ શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ વિમાનની અંદર ભોજન ઉપલબ્ધ કરાવવા એરલાઇનને મંજૂરી આપી હતી.
પહેલાના આદેશમાં સુધાર કરતા મંત્રાલયે તેના નિર્દેશમાં કહ્યું છે કે, ઘરેલૂ ક્ષેત્રોમાં વિમાનનું પરિચાલન કરી રહેલી એરલાઇન કંપનીઓ ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે જ્યાં વિમાનની સફર બે કલાકથી વધુ હોય. કોવિડ-19 અને તેના વિભિન્ન પ્રકારોના વધતા ખતરા પર વિચાર કરતા તેણે ઘરેલૂ ઉડાનોમાં સફર દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવાની સુવિધાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
(સંકેત)