- બાબા રામદેવે એલોપેથીની કરેલી ટીકાનો મામલો
- ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેમના વિરુદ્વ ફરિયાદ કરવાની કરી માંગણી
- IMAએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને ફરિયાદ કરવાની કરી અપીલ
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરુદ્વ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને બાબા રામદેવ વિરુદ્વ એપિડેમિક ડિસિસીઝ એક્ટ, 1987 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
IMAએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાબા રામદેવે એક વીડિયોમાં એલોપેથી વિરુદ્વ નિવેદન આપ્યું છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન આ બાબતને ગંભીરતાથી લે અને તેમની વિરુદ્વ મહામારી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવે તેવી અપીલ છે.
આઇએમએ જણાવ્યું છે કે હવે ઘણું થઇ ગયું છે. રામદેવ દેશની વર્તમાન પરિસિૃથતિનો લાભ લઇ પોતાની ગેરકાયદે દવાઓનું વેચાણ વધારવાના પ્રયત્નો કરી રહ્યાં છે. દેશના આરોગ્ય પ્રધાન સ્વયં એલોપેથીના ડોક્ટર છે ત્યારે તેમણે રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરવો જોઇએ. જો આરોગ્ય પ્રધાન કોઇ કાર્યવાહી નહીં કરે તો આઇએમએએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની ધમકી આપી છે.
નોંધનીય છે કે, વાયરલ થયેલા વીડિયોમાં રામદેવે એલોપેથીની ટીકા કરી છે કે મોડર્ન એલોપેથી એક એવી સ્ટુપિડ અને દેવાલિયા સાયન્સ છે. IMAએ વધુમાં ઉમેર્યું હતું કે, રામદેવે પોતાના દવા લોન્ચ કરવાના કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનની હાજરીમાં મોડર્ન મેડિકલ ડૉક્ટરોને હત્યારા ગણાવ્યા હતાં.