- દેશમાં દરરોજ થતા માર્ગ અકસ્માત છતા લોકો બેદરકાર
- દેશમાં 50 ટકાથી વધુ વાહનો વીમા વગર માર્ગ પર દોડે છે
- ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરોએ પ્રગટ કરેલા અહેવાલમાં આ વિગતો સામે આવી
નવી દિલ્હી: દેશમાં દરરોજ માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે તેમ છતાં લોકો વાહનનો વીમો લીધા વગર વાહન ચલાવે છે. જે લોકોની બેદરકારી દર્શાવે છે. દેશના માર્ગ પર દોડતા 50 ટકાથી વધુ વાહનો વીમા વગર દોડે છે. આવા વાહનોમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર્સની હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરોએ પ્રગટ કરેલા એક અહેવાલમાં આ ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 15 રાજ્યો એવાં છે જ્યાં 60 ટકાથી વધુ વાહનચાલકોએ વીમો ઉતરાવ્યો નથી.
આપને જણાવી દઇએ કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટુ વ્હીલર કે કારનો વીમો દરેક ધારક પાસે હોવો ફરજીયાત છે. પરંતુ આઇઆઇબીના માર્ચ 2019ના રિપોર્ટ અનુસાર 50 ટકાથી વધુ વાહન ધારકો પાસે વીમો નથી. એટલે કે અકસ્માત થાય ત્યારે વાહનચાલકો ત્યાંથી વહેલી તકે ભાગી જવામાં જ પોતાનું હિત સમજતા હોય છે.
વર્ષ 2019 સુધીના માર્ચના અહેવાલ અનુસાર દેશના માર્ગ પર દોડતા કુલ 57 ટકા વાહનો પાસે વીમો નહોતો. એ સમયગાળામાં દેશના માર્ગો પર કુલ 23 કરોડ 12 લાખ વાહનો દોડતાં હતાં. વર્ષ 2018માં 54 ટકા વાહનધારકો વીમો ધરાવતા નહોતા.
(સંકેત)