પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી
અમદાવાદઃ મહેસાણામાં રવિવારે પાટીદારોનો સ્નેહમિલન સંમેલન SPGના બેનર હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સંમેલનમાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમે વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યા છે. સરદાર પટેલે રજવાડા એકઠા કરી દેશ બનાવ્યો એટલે એ ગુણ આપણામાં હોય. સંગઠિત થઇ આપણે આગળ વધીએ છીએ આજની જમાનામાં શિક્ષણ સાથે આગળ વધવું એ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, હવેથી નવી શિક્ષણ નિતિનો ફાયદો થશે. આપણે માતૃભાષામાં શિક્ષણ લઇ શકીશુ. સેવા કરવા માટે આપણે હર હંમેશ તૈયાર એ આપણી સંસ્કૃતિ છે. પાટીદાર સમાજને જ્યાં મુશ્કેલી પડે અને જ્યાં સરકાર તરીકે સાથે રહેવાનું હશે ત્યાં ઉભા રહીશું. બહેનો માટે જે હેલ્પલાઇન શરૂ કરી એ ખુબ મોટી વાત છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સેમીકોન ઇન્ડિયાની ગાંધીનગરમાં વડાપ્રધાને શરૂઆત કરાવી છે. જેમાં મોટા ભાગના વાહનો અને ઇલેક્ટ્રીક સાધનોમાં સેમી કન્ડકરટ મહત્વનું હોય છે. દેશના અગાઉના તમામ વડાપ્રધાનોએ આ ઉત્પાદન ભારતમાં કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહોતી પણ તેની શરૂઆત નરેન્દ્ર મોદી કરાવી શક્યા છે. રોજગાર આપવામાં ગુજરાત સૌથી અગ્રીમ સ્થાને છે. ગુજરાતની નાણાકીય વ્યવસ્થા કોરોના બાદ પણ સારી છે. લોકોને કોઇ પણ સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે. અંતમાં ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માત પિતાની સહી ફરજીયાત કરવા માટે જરૂરી સ્ટડી કરી નિર્ણય કરવામાં આવશે તેવું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદારોના આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ, રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહ્યા હતા. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જોડાયા હતા. અનામત આંદોલન બાદ SPG ફરીથી પાટીદારોને એક મંચ પર લાવી રહ્યું છે. અનામત આંદોલન બાદ પ્રથમવાર એસપીજી નું મોટું સંમેલન યોજાયું છે.