નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે મુલાકાત કરશે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
- યુકેના વડાપ્રધાન પીએમ મોદીને મળશે
- દિલ્હીમાં બોરિસ જોનસન મળશે પીએમ મોદીને
- આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
દિલ્હી:બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન તેમની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શુક્રવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે.બંને દેશો સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે પોતાના સંબંધોને વધુ આગળ લઈ જવા ઈચ્છે છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમા પર છે.આ પહેલા બોરિસ જોનસન પણ યુક્રેનની રાજધાની કિવની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા.જોકે, પીએમ નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે રશિયા-યુક્રેન મુદ્દે ચર્ચા થવાની શક્યતા નથી.
મુલાકાતથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે જોનસનની વાતચીત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર કેન્દ્રિત હશે. તેમણે કહ્યું હતું કે,યુકે ભારતને સંરક્ષણ ઉત્પાદન માટે હબ બનાવવાના મોદીના વિઝનને સાકાર કરવા માટે તેનો ટેકો આપવા તૈયાર છે અને દેશ લશ્કરી હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર છે.