નાઇજિરીયા: વધતી જતી ખાદ્યપદાર્થોની કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ
નવી દિલ્હીઃ નાઇજિરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કેટલીક પહેલોમાં ખેડૂતોને ખાતર અને અનાજ પૂરા પાડવા માટે ઈંધણ સબસિડીને હટાવવાથી બચેલા નાણાંનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઘણા ખેડૂતોએ ખંડણી માટે અપહરણ કરતી ટોળકીના નિશાન બન્યા બાદ પોતાની જમીન છોડી દીધી છે. જે ખેડૂતો માટે પણ સુરક્ષા વધારવી પડશે.
ગરીબ પરિવારોને પણ છ મહિના માટે દર મહિને 10 ડોલરની સહાય કરવામાં આવશે. જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે આ વર્ષે 25 મિલિયન નાઇજિરિયનો ખોરાકની અસુરક્ષાના ઊંચા જોખમમાં હતા – એટલે કે તેઓને દરરોજ પૂરતો પોષક ખોરાક પરવડી શકશે નહીં. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયામાં ખાદ્ય અસુરક્ષા અંગેની ચિંતાઓ લાંબા સમયથી છે, જે ઘણા વર્ષોથી વ્યાપક અસુરક્ષાનો પણ સામનો કરી રહ્યો છે. નાઈજિરિયન સિક્યોરિટી ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર માત્ર જૂન 2022 સુધીના 12 મહિનામાં 350 થી વધુ ખેડૂતોનું અપહરણ અથવા હત્યા કરવામાં આવી હતી.
દુનિયાના અનેક દેશો આજે અન્નની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, અન્નની સમસ્યાથી રાહત મળી રહે તે માટે ભારત દ્વારા દુનિયાન સમક્ષ બાજરી, જુવાર સહિતના અન્નનો વિકલ્પ દર્શાવ્યો છે, એટલું જ નહીં મિલેટ વર્ષ તરીકે વર્ષ 2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. અમેરિકા સહિતના વિકસિત દેશો પણ અન્નની સમસ્યાથી લોકોને છુટકારો મળે તે દિશામાં કામગીરી કરી રહ્યાં છે.