Site icon Revoi.in

જામનગરના જામજોધપુર નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Social Share

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામજોધપુર પાટણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં ખેડુત પતિનું તેની પ્તનીની સામે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા કિશોરભાઈ ગોવિંદભાઈ સવસાણી નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ સવારે 11.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પત્ની પુષ્પાબેનને બેસાડીને પાટણ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલી જીજે-03 સી.આર 7408 નંબરની કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને દંપત્તિ બાઈક પરથી રોડ પર પટકાયુ હતુ. જેમાં બાઈકચાલક કિશોરભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું સ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેમના પત્ની પુષ્પાબેનને પણ પગ અને કમરના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી,

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ મનસુખભાઈ ગોવિંદભાઈ સવસાણીયા પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પોતાના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.