ઓપરેશન અજયઃ ઈઝરાયલ વોર વચ્ચે 230 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ શુક્રવારે આવશે
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે લગભગ છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન અજય હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પ્રથમ ફ્લાઈટ આજે રાતના રવાના થશે. જે આવતીકાલે સવારે 230 ભારતીયોને લઈને પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી એસ.જયશંકરએ ઓપરેશન અજયની જાહેરાત કરી હતી. અમારી સલાહ છે છે. ઈઝરાયલમાં વસતા ભારતીય નાગરિકો સ્થાનિક ગાઈડલાઈનનું પાલન કરે. ઈઝરાયલમાં લગભગ 18 હજાર જેટલા ભારતીય નાગરિક છે. અમારું ધ્યાન ઇઝરાયેલથી આવવા ઇચ્છતા તમામ ભારતીયોને પરત લાવવાનું છે.
બાગચીએ વધુમાં કહ્યું કે, અમે આ હુમલાને આતંકવાદી હુમલા તરીકે જોઈએ છીએ. ભારતે હંમેશા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સાથે સાર્વભૌમ પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના માટે ઈઝરાયેલ સાથે સીધી વાટાઘાટો ફરી શરૂ કરવાની હિમાયત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, લગભગ 12 ભારતીય નાગરિકો પશ્ચિમ કાંઠે છે. આ સિવાય ગાઝામાં ત્રણ-ચાર નાગરિકો છે. આ બહુ ઓછા લોકો છે. તેમાંથી કોઈએ અહીંથી બહાર નીકળવાની વિનંતી કરી નથી. અમને ઇઝરાયેલ તરફથી વિનંતીઓ મળી છે. તેણે કહ્યું કે, હુમલામાં એક ભારતીય ઘાયલ છે. અમે તેમના સંપર્કમાં છીએ. તે હોસ્પિટલમાં છે અને તેની હાલત સારી છે. રાહતની વાત એ છે કે કોઈનું મોત થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલની સેનાએ વળતી જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે.