જેતપુરના ઉદ્યોગોના ગંદા પાણી પાઈપલાઈન મારફતે દરિયા ઠાલવાની યોજનાનો વિરોધઃ કોંગ્રેસ પદયાત્રા યોજશે
અમદાવાદઃ જેતપુરના ઉદ્યોગોનો કડદો પાઈપલાઈન મારફતે પોરબંદરના નવા બંદર નજીક દરિયામાં ઠાલવાની રાજ્યની ભાજપ સરકારની યોજના અનેક રીતે વિનાશકારી છે. આ વિનાશથી સાગરકાંઠા વિસ્તારને બચાવવા અને રાજ્યની ભાજપ સરકારને સોમનાથ મહાદેવ સદબુદ્ધી આપે તે માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નાથાભાઈ ઓડેદરાની આગેવાનીમાં કિર્તી મંદિરથી સોમનાથ મહાદેવના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ અંગે માહિતી આપતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે જેતપુરમાંથી જે કેમિકલ યુક્ત જે પાણી નિકળે છે. તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારો સુધીની ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજનું 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી. લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે.
80 કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે આ પાઈપલાઈનથી સૌથી મોટુ નુકશાન માછીમાર ભાઈઓને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે. આ દરિયાનું પાણી જમીનમાં જવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી અને પશુપક્ષીઓનો નાશ થશે અને દરિયાકાંઠાના લોકોને રહેવુ પણ વિકટ બની જશે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે જેતપુરનો સાડી ઉદ્યોગ આપણું ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઈ ઈરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. આ માટે આ કેમિકલ યુક્ત પાણીને ત્યાં શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જરૂરી છે. ₹800 કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે. તેમાંથી પાણીની સમસ્યા પણ દુર થઈ શકે તેમ છે. આપણે કોઈપણ રીતે આ પાઈપલાઈન યોજનાને અટકાવી પાણી શુદ્ધીનો પ્લાન્ટ બને એવો આપણો પ્રયત્ન છે. કારાખાનાઓ ધમધમે અને તેનાથી રોજગારી મળે તેમાં આપણો સહકાર છે. પરંતુ હજાર કારખાનાઓને બચાવવા માટે આખા વિસ્તારને કોઈપણ સંજોગોમાં વેરાન બનવા નહીં દેવાય.