Site icon Revoi.in

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથીઃ વિદેશ મંત્રાલય

Social Share

નવી દિલ્હીઃ ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો ભાગ બનાવી ચૂક્યું છે. OIC મંચનો આ રાહે દુરઉપયોગ થઇ રહ્યો છે. ભારતે કહ્યું કે, OIC પાકિસ્તાનમાં પેદા થતા આતંકવાદના વાસ્તવિક ખતરાને નજરઅંદાજ કરે છે. પહલગામ આતંકવાદી હુમલા વખતે તે વાત સ્પષ્ટપણે બહાર આવી છે. વિદેશ મંત્રાલયે રોકડુ પરખાવી દીધું કે, જમ્મૂ- કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ છે. OICએ પાકિસ્તાનના પ્રભાવમાં આવીને પોતાના એજન્ડાને રાજકીય રૂપ આપવાથી બચવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, OIC વિદેશ મંત્રી પરિષદ (CFM)નું 51મું સત્ર તારીખ 21થી 22 જૂન દરમિયાન તુર્કીના ઇસ્તંબુલમાં યોજાયું હતું, જેમાં 147 ઠરાવો અને ઇસ્તંબુલ ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું.

મંત્રાલયે કહ્યું કે, OIC વારંવાર પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદના વાસ્તવિક અને દસ્તાવેજીકૃત ખતરાઓની અવગણના કરે છે. તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં આ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જે વાસ્તવિકતા અને વૈશ્વિક આતંકવાદ વિરોધી સર્વસંમતિ પ્રત્યે ફોરમની ઇરાદાપૂર્વકની અવગણનાને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને સાર્વભૌમ ભાગ છે. આ વાત ભારતના બંધારણમાં નોંધાયેલી છે. OICએ પાકિસ્તાનના પ્રચારના પ્રભાવમાં આવીને તેના એજન્ડાને રાજકીય રંગ આપવાનું ટાળવું જોઈએ, નહીં તો તેની વિશ્વસનીયતા અને સુસંગતતાને ભારે નુકસાન થશે.” વિદેશ મંત્રાલયે OIC બેઠકમાં પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા “પાયાવિહોણા આરોપો”ને પણ નકારી કાઢ્યા અને કહ્યું કે, આ પાકિસ્તાન દ્વારા તેના રાજ્ય પ્રાયોજિત આતંકવાદ, લઘુમતીઓ પરના અત્યાચાર અને સાંપ્રદાયિક હિંસા પરથી વિશ્વનું ધ્યાન હટાવવાનો નિરર્થક પ્રયાસ છે.

ભારતે કહ્યું કે, “પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા ‘બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી લશ્કરી આક્રમણ’ના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ‘ઓપરેશન સિંદૂર’ પાકિસ્તાની ધરતી પરથી કાર્યરત આતંકવાદી છાવણીઓ સામે હાથ ધરવામાં આવેલી કાયદેસર અને ચોક્કસ સ્વ-બચાવ કાર્યવાહી હતી.” ભારતે વધુમાં કહ્યું કે, એ હાસ્યાસ્પદ છે કે પાકિસ્તાન ફક્ત ભારતીય લશ્કરી છાવણીને નિશાન બનાવવાની વાત કરે છે જ્યારે તેના જવાબી હુમલાઓ નિષ્ફળ ગયા છે અને નાગરિકોના જીવન અને સંપત્તિને જોખમમાં મૂક્યા છે, જેના પરિણામે ઘણા નાગરિકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, OIC પોતાને મુસ્લિમ વિશ્વનો સામૂહિક અવાજ કહે છે અને તેના 57 સભ્ય દેશો છે. આ ફોરમ વિશ્વમાં મુસ્લિમ સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે કામ કરે છે. જોકે, ભારતે વારંવાર કહ્યું છે કે, OICએ પાકિસ્તાન જેવા દેશોનું સાધન ન બનવું જોઈએ, જે તેમના સંકુચિત રાજકીય એજન્ડા હેઠળ ભારત વિરુદ્ધ ખોટા અને પક્ષપાતી ઠરાવો પસાર કરે છે.