નવસારી નગરપાલિકાએ મર્જ કરેલા વિસ્તારોમાં વેરો વધારતા નાગરિકોમાં રોષ, વેપારીઓની પણ રજુઆત
નવસારીઃ શહેરની નગરપાલિકામાં કબીલપોર અને વિજપોરનો સમાવેશ કરાયા બાદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા આ વિસ્તારના નાગરિકોમાં અસંતોષ ઊભો થયો છે. જેમાં GIDC વિસ્તારનાવેપારીઓ માટે હદ વિસ્તરણ બાદ સમસ્યાઓમાં વધારો થયો છે. નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પણ સામે પાલિકા દ્વારા એટલી સુવિધા ન અપાતી હોવા છતાં વેરો વધારાતા વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ઉદ્યોગકારોએ વેરામાંથી મુક્તિની માગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી નગરપાલિકાનું વિસ્તરણ કરીને કબીલપોરને અને વિજલપોરને નગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા હતા. અને આ સાથે જ વેરામાં 45થી 65 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ નવા વિસ્તારોને નવસારી નગરપાલિકામાં ભેળવવામાં આવતા તે સમયે પણ નાગરિકોએ વિરોધ કર્યો હતો. વેપારીઓનો આરોપ છે કે વેરો ભરવા છતાં પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી. એટલું જ નહીં ડ્રેનેજ અને સાફ-સફાઈની કામગીરી પણ સ્વખર્ચે કરાવવી પડી રહી છે. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે, એક તરફ વેરામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સુવિધાના નામે તેમને મીંડુ મળી રહ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પહેલા વિજલપોર પાલિકાના અસ્તિત્વ વખતે ઉદ્યોગનગરના વેપારીઓ તે અનુસાર વેરો ભરતા હતા. બાદમાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો. જો કે અહીંના વેપારીઓનું કહેવુ છે કે વેરા વધારાની સામે તેમને પાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તેથી ઉદ્યોગકારોએ વેરામાંથી મુક્તિની માગણી કરી છે તો બીજી તરફ પાલિકાએ વેપારીઓની રજૂઆત સાંભળીને સમગ્ર મામલે તપાસ કરી વેરામાં યોગ્ય ઘટાડાની ખાતરી આપી છે.