Site icon Revoi.in

આતંકવાદી ઠેકાણા ઉપર હુમલાના કર્યાંના 5 મિનિટ બાદ પાકિસ્તાનને જાણ કરાઈ હતીઃ CDS અનિલ ચૌહાણ

Social Share

પૂણેઃ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરઅંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યાના પાંચ મિનિટ પછી ભારતે પાકિસ્તાનને જાણ કરી હતી. જનરલ ચૌહાણે આ ખુલાસો એવા સમયે કર્યો હતો જ્યારે કોંગ્રેસ પાર્ટી ઓપરેશન સિંદૂર પર સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકારે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર વિશે અગાઉથી જાણ કરીને ગુનો કર્યો છે. સીડીએસ જનરલ ચૌહાણે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા આયોજિત યુદ્ધ અને યુદ્ધનું ભવિષ્યવિષય પરના એક વિશેષ વ્યાખ્યાનમાં આ વાત કહી હતી.

જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ સ્ટ્રાઈક શરૂ કરવાના દિવસે પાકિસ્તાનને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હુમલો રાત્રે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓપરેશન પૂર્ણ થયાના પાંચ મિનિટ પછી પાકિસ્તાનને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે આ કાર્યવાહી કરવામાં આવી છે. જનરલ ચૌહાણે એમ પણ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ સરહદ પારની સ્ટ્રાઈક દરમિયાન અત્યંત સાવધાની સાથે કામ કર્યું હતું. તેઓએ ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને નાગરિક વિસ્તારો અથવા લશ્કરી સ્થાપનો ટાળ્યા હતા.

જનરલ ચૌહાણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) ને પણ કહ્યું હતું કે હુમલાઓ ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા અને નાગરિકોને કોઈ નુકસાન થયું ન હતું. ગયા મહિને, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલાઓ વિશે પાકિસ્તાનને અગાઉથી ચેતવણી આપી હતી.