1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત મહાનગરોમાં ઘૂલેટીના આગમન પહેલા પિચકારીઓ અને ઓર્ગેનિક કલરનું ધૂમ વેચાણ
અમદાવાદ સહિત મહાનગરોમાં ઘૂલેટીના આગમન પહેલા  પિચકારીઓ અને ઓર્ગેનિક કલરનું ધૂમ વેચાણ

અમદાવાદ સહિત મહાનગરોમાં ઘૂલેટીના આગમન પહેલા પિચકારીઓ અને ઓર્ગેનિક કલરનું ધૂમ વેચાણ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક લોકો કાલે સોમવારે અને કેટલાક લોકો મંગળવારે હોળીનો તહેવાર મનાવાશે ત્યારબાદ બુધવારે ધૂળેટીનો તહેવાર મનાવશે. રંગોના તહેવારને લીધે આ વખતે ઓર્ગેનિક કલર અને પિચકારીઓનું અમદાવાદ સહિત મહાનગરોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર પિચકારીઓ અને કલરના વેચાણ માટેના સ્ટોલ તેમજ લારીઓ ઊભેલી જોવા મળી રહી છે. જ્યારે રાજકોટના સદર બજાર સહીત છૂટક અલગ અલગ વિસ્તારોમાં કલર તેમજ પિચકારી ઉપરાંત ધાણી અને દાળિયાની ઘરાકી જામી છે. ગતવર્ષની તુલનાએ તમામ વસ્તુના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો હોવા છતાં આ તહેવારોની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા ઘરાકીમાં વધારો થવા શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ ઘૂળેટી પૂર્વે પિચકારી, કલર અને ખજુર-ધાણાની ખરીદી નિકળી છે. વેપારીઓના કહેવા મુજબ હાલ હોળીના તહેવારને લઈ લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. ચાલુ વર્ષે દાળિયામાં પણ સાદા, મસાલા, હળદરવાળા સહિતની વેરાયટીઓ લોકો પસંદ કરી રહ્યા છે. જ્યારે પતાસા અને ધાણીની પણ ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. ભાવમાં 5-10 ટકાનો વધારો હોવા છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. દાણાપીઠમાં ગોળ-ખજૂરના વેપારીએ કહ્યુ હતુ કે,  હોળીને લઈને ખજૂરની ખૂબ સારી માંગ જોવા મળી રહી છે. જેમાં જાયબી ખજૂરને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. આ સિવાય પણ ઈરાની, કાળો ખજૂર સહિતના ખજૂરની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં ગતવર્ષની તુલનાએ 10 રૂપિયાનો વધારો થયાનું પણ તેમણે કહ્યું હતું. રાજકોટના સદર બજારમાં સીઝન સ્ટોર ધરાવતા કલર અને પિચકારીના વેપારી રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોનામાં લોકોએ તહેવાર માણ્યા નહોતા. જેને લઈને છેલ્લા બે વર્ષથી તમામ તહેવારોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત હાલ હોળીના તહેવારને લઈને પણ લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જેને કારણે જ હોલસેલ પિચકારીમાં હાલ માલની તંગી ઉભી થઇ ગઈ છે. ગતવર્ષની તુલનાએ હાલ ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.

પિચકારી વેચતા વેપારીઓએ જણાવ્યું હતું કે, બાળકોમાં છોટાભીમ સહિતના કાર્ટુનની પિચકારી ફેવરિટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત શહેરોમાં હોળી અને ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. અગાઉ કોરોનાનાં કારણે તહેવારો ઉજવી શકાયા નહોતા. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી દેશભરમાં તમામ તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે હોળી-ધુળેટીની ઉજવણીમાં કોઈ કચાશ ન રહે તે માટે રંગરસિયાઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. અને ખાસ તો ઓર્ગેનિક કલર તેમજ પિચકારીઓનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ધાણી-દાળિયા-પતાસા સહિતની વસ્તુઓ લેવા માટે બજારોમાં સાંજ પડ્યે લોકોની ભારે ભીડ જામી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code