1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટ એઈમ્સની IPD અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે
PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટ એઈમ્સની IPD અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે

PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટ એઈમ્સની IPD અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જો કે પીએમના પ્રવાસની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ 24મી ફેબ્રુઆરીથી વડાપ્રધાન બે દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતા છે. બે દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ઉદ્ઘાટનો કરશે.રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ, બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, નવસારીના વાંસી બોરસીમાં આવેલો પીએમ મિત્ર ટેક્સ્ટાઇલ પાર્ક સહિતની સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓ ગુજરાતમાં બે મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ દ્વારકા સિગ્નેચર બ્રિજ તેમજ 25 ફેબ્રુઆરીએ રાજકોટ એઇમ્સમાં IPD સેવા તેમજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે જાહેરસભામાં જનમેદની એકઠી કરવા ભાજપ દ્વારા પણ બેઠકો સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2024 પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા અને મહત્વ પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવશે. જેમાં આગામી રોજ 978 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સિગ્નેચર બ્રિજ તેમજ રાજકોટ એઇમ્માં તૈયાર 250 બેડની IPD સેવાનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રાજકોટના નવા રિંગરોડ પર બનાવવામાં આવેલા અટલ સરોવર અને જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

સૂત્રોના કહેવા મુજબ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી રાજકોટ એઇમ્સ ખાતે 50 બેડની સુવિધા સાથે OPD સેવા કાર્યરત છે અને હવે આગામી 25 ફેબ્રુઆરી બાદ રાજકોટ એઇમ્સ ખાતે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલીટી સુવિધા સાથે IPD સેવા પણ શરૂ કરી દેવામાં આવશે . તેની સાથે સાથે ચાર ઓપરેશન થિયેટર પણ તૈયાર થઇ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી અકસ્માત કે અન્ય કોઈ કેસમાં દર્દીની સર્જરી કરવાની આવશ્યકતા જણાઈ તો તેની પણ સારી અને યોગ્ય સારવાર મળી શકશે.રાજકોટની ભાગોળે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ન્યુ રેસકોર્સ અને અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવા 150 ફૂટ રિંગરોડ ખાતે ન્યુ રેસકોર્સ અને અટલ સરોવરનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેની કામગીરી પૂર્ણ થતા તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code