Site icon Revoi.in

બેંગલુરુમાં ભાગદોડ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

Social Share

બેંગ્લોરઃ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં ભારતીય ક્રિકેટર અને આઈપીએલ 2025 વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના સભ્ય વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર એચ.એમ. વેંકટેશે નોંધાવી છે. જેના જવાબમાં પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ફરિયાદ પહેલાથી જ નોંધાયેલા કેસ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે અને ચાલુ તપાસ દરમિયાન તેની તપાસ કરવામાં આવશે. ગુરુવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની અંદર સમારોહ ચાલી રહ્યો હતો, પરંતુ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા અને 33 અન્ય ઘાયલ થયા.

આ કેસમાં બેંગલુરુ પોલીસે શુક્રવારે ફ્રેન્ચાઇઝીના માર્કેટિંગ વડા સહિત ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. બેંગલુરુ પોલીસે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઇટમાં બેસવાની રાહ જોઈ રહેલા RCBના માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરી હતી. પોલીસે કિરણ કુમાર (વરિષ્ઠ ઇવેન્ટ મેનેજર) અને સુનિલ મેથ્યુ (વાઈસ પ્રેસિડેન્ટ – બિઝનેસ અફેર્સ)ની પણ ધરપકડ કરી હતી, જેઓ વિજય ઉજવણીના ઇન્ચાર્જ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક માટે કામ કરતા હતા.