
વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી એકતા પરેડનું નિરીક્ષણ કરશે
ગાંધીનગરઃ સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લશે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતાનગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે આ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટી ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ગ્રીન ઇનિશિયેટીવના ભાગરૂપે ઓથોરિટી દ્વારા ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ સાથે જ પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે એક હરિત માધ્યમ એટલે કે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે ઓથોરિટીએ સાયકલ શેરિંગ સિસ્ટમ (પબ્લિક બાઇક શેરિંગ)નું આયોજન કર્યું છે. જે પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલિટી પ્રદાન કરશે.
એકતાનગરમાં પર્યાવરણીય ટકાઉપણાને તેમજ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તમામ ઘરોમાં ‘પાઇપ્ડ નેચરલ ગેસ’ સપ્લાય કરવા માટે ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પરંપરાગત ઈંધણ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને કુદરતી વાતાવરણ અને સુંદર લેન્ડસ્કેપ્સનો આરોગ્યપ્રદ અનુભવ આપવા એકતાનગરમાં પ્રવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉકેલ તરીકે ઇ-ગોલ્ફ કાર્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ 100 કરોડના ખર્ચે એક વિઝિટર્સ સેન્ટર નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે. જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, આરામ અને મનોરંજનની જગ્યાઓ પણ બનાવવામાં આવશે. આ સાથે જ 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે. આ પ્રોજેક્ટમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું છે. તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે. તેમજ તેમને વિતરણ માટે 910,00 કમલમના છોડ પણ રાખવામાં આવ્યા છે. નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની નજીકમાં તે આવેલો હોવાથી કમલમ પાર્ક એકતા નગરના મુલાકાતીઓ માટે એક રસપ્રદ આકર્ષણ બનશે.