ગ્રાન્ટેડ શાળાઓનું 30 ટકા પરિણામ ઓછું હોય તો પણ 5 વર્ષ સુધી ગ્રાન્ટ ન કાપવા રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓનું ધોરણ 10નું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હોય તો ગ્રાન્ટ આપવામાં આવતા નથી. તેમજ ઓછા પરિણામને લીધે પણ ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. એક બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકોની ભરતી કરાતી નથી. અને બીજી બાજુ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું હતું તેથી ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ભણતરમાં કાચા છે. આથી શિક્ષણ વિભાગના નિયમને પાંચ વર્ષ માટે સ્થગિત કરવા શાળા સંચાલકોએ માંગણી કરી છે. કોરોનાના કારણે પરિણામ પર હજુ અસર હોવાથી આગામી પાંચ વર્ષ સુધી પરિણામના આધારે ગ્રાન્ટ નહીં કાપવા માટે શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.
રાજ્યોની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામના આધારે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી, જેથી વિદ્યાર્થીઓનો પાયો પણ કાચો રહી ગયો છે. ગુજરાત બોર્ડના પરિણામ પર પણ અસર જોવા મળી છે. બોર્ડનું પરિણામ પણ ઘટી રહ્યું છે, જેથી ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. ભવિષ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાની ભીતિ પણ રહેલી છે. આથી રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોને પરિણામને આધારે ગ્રાન્ટ આપવામાં આવે છે, તે નિયમ પાંચ વર્ષ માટે બદલવો જોઈએ. જેથી ભવિષ્યમાં અનેક ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાથી અટકી શકે. પાંચ વર્ષ માટે જે શાળાનું પરિણામ ઓછું આવ્યું હોય તેમાં વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ કાપી લેવામાં આવે. ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. શાળાના મકાનોના મરામત અને જાળવણીનો ખર્ચ પણ વધી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી શાળા સંચાલકો આર્થિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.