1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી
ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી

ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને સરકાર દ્વારા રેશનિગમાંથી અનાજ સહિતના ખાદ્ય પુરવઠો આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી તેલ,દાળ સહિતનો જથ્થો આપવામાં આવ્યો નથી. આથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનાજનો પુરવઠો મળતો ન હોવાથી બાળકોને મધ્યાહન ભોજન કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સંદર્ભે અગાઉ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરી પાડતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના. આ યોજના અમલમાં આવી ત્યારથી કોઈ ને કોઈ વાદ વિવાદમાં આવી રહી છે. ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી, તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુને કારણે વિવાદમાં આવતી હોય છે. આ વખતે 20 જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ન આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ અંગે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળના પ્રમુખે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખી પૂરતો ગુણવત્તાયુક્ત ​​​​જથ્થો આપવાની માગ કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળના પ્રમુખ કિશોર જોશીએ જણાવ્યું હતું કે અનાજ તદ્દન હલકી ગુણવત્તાવાળું મળવાની કર્મચારીમંડળ દ્વારા અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી છે. એમ છતાં કોઈ નેતા કે અધિકારીને કોઈ ફેર પડતો નથી. શૈક્ષણિક વર્ષ 2023-24નું પ્રથમ સત્ર તારીખ 05.06.2023થી શરૂ થયું ત્યારથી ગુજરાતના 20 જેટલા જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો નથી. આજે એક મહિનાથી વધુ સમય વિતી ગયો છતાંયે દાળ અને તેલ સહિત અનાજનો જથ્થો હજુ પણ ફળવાયો નથી. આ યોજના હાલ રામ ભરોસે ચાલે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં અનાજ પૂરું પાડવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા હિસ્સો આપવામાં આવે છે. કેન્દ્ર સરકારમાં રજુઆત કરીએ તો તેઓ રાજ્ય સરકાર પર ઢોળે છે અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ તો તેઓ કેન્દ્ર સરકાર પર ઢોળે છે. કોઈ રજૂઆતમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ગુજરાતની 29 હજાર સ્કૂલોમાં 45 લાખ બાળકો રોજ મધ્યાહન ભોજનનો લાભ લે છે. યોજનાના 96000 કર્મચારી અને આ યોજનાના વિદ્યાર્થીઓ ભોજન લે છે. સડેલું અનાજ પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવે છે અને કોઈ બનાવ બનવા પામે તો આ યોજનાના નજીવા વેતનથી કામ કરતા સંચાલકો અને કર્માચારીઓનો ભોગ લેવાય છે. સરકાર મેનુ મુજબ અનાજ ખરીદીને આપતી નથી, બાળકોને બપોરે જમવાનું ન મળે તો તેમના નિસાસા અમને લાગે છે. સરકારે જ મેનુ બનાવ્યું છે તો મેનુ મુજબ જથ્થો આપવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code