પાલનપુરઃ ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત મતદાર નોંધણી, સહિત અન્ય કામગીરી સોંપાતી હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે બનાસકાંઠામાં શિક્ષકોને રેશનિંગની દુકાનો પર વિતરણ વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાતા શિક્ષકોમાં ભારે નારાજગી ઊભી થઈ હતી. આ મામલે ભારે વિરોધ ઊભો થયા બાદ જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા પુરવઠા વિભાગ દ્વારા હવે શિક્ષકોની જગ્યાએ અન્ય સરકારી કર્મચારીઓને ફરજ સોંપવાનો નિર્ણય કર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો પર સૂચારુરૂપે વિતરણ વ્યવસ્થા ચાલે તે માટે એક સરકારી કર્મચારીની નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ સંજય દવે જણાવ્યું હતું કે શિક્ષકોને રેશનીંગની દુકાનો પર ફરજ સોંપાતા આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષકોને શિક્ષણના ભોગે કામગીરી ન આપવામાં આવે એવી માગ કરવામાં આવી હતી. આથી પુરવઠા અધિકારીએ શિક્ષકોને કામગીરી નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.
પુરવઠા વિભાગના નાયબ મામલતદારે જણાવ્યું હતું કે DSO ની સૂચના અનુસાર દરેક સસ્તા અનાજની દુકાન પર વિતરણ વ્યવસ્થા સુચારુરૂપે ચાલે તેની દેખરેખ માટે એક સરકારી કર્મચારીને નિમણૂંક કરવાની છે. જેના માટે શિક્ષકોને ઓર્ડર કરેલા હતા પરંતુ હવે સૂચના અનુસાર શિક્ષકોને ઓર્ડર કરવાના નથી. હવે અન્ય કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવશે.