
- પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો
- NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું.
- આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું
અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા હોવી જરૂરી છે, પરંતુ અખબારોએ સત્ય અને તથ્યને તો વળગી રહેવું જ જોઈએ. સમયની સાથે પ્રિન્ટ મીડિયામાં આમૂલ પરિવર્તન આવ્યું છે, સમાચાર આપવાની પદ્ધતિ બદલાઈ છે પણ પત્રકારત્વના મૂળ સિદ્ધાંતો હજુ પણ અડીખમ છે.” NIMCJ દ્વારા આયોજિત ” પ્રિન્ટ મીડિયા: પડકારો અને પરિવર્તન” વિષય પરના વેબિનારમાં પત્રકારત્વ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા દિવ્ય ભાસ્કરના તંત્રી પ્રણવ ગોલવેલકરે જણાવ્યું હતું.
ભારતીય પત્રકારત્વ ટૂંક જ સમયમાં 200 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ 200 વર્ષની યાત્રામાં પ્રિંટ માધ્યમમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યાં સાથે સાથે પરિવર્તનનું સાક્ષી પણ બન્યું છે.
હાલના સમયે પ્રિંટ માધ્યમમાં કેવા પ્રકારના બદલાવ આવ્યા છે અને એ પડકારોનો સામનો કઈ રીતે કરવો, કેવી રીતે પ્રિંટ માધ્યમમાં નવી ઉડાન કાયમ કરવી બાબતે પેનલ ચર્ચાનું આયોજન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ NIMCJ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદના નિયામક ડો. શિરીષ કાશીકરની સાથે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને દિવ્ય ભાસ્કર દૈનિક સમાચારના તંત્રી પ્રણવ ગોલવેલકરે પત્રકારત્વમાં રસ ધરાવતાં રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
પ્રણવ ગોલવેલકરે આ ચર્ચામાં જણાવ્યું કે આજના સમયે જ્યારે ખબર પળવારમાં વિવિધ સોશિયલ મીડિયા દ્વારા વાંચનાર સુધી પહોંચી જાય છે ત્યારે પ્રિંટ માધ્યમની જવાબદારી અખબાર વાંચનાર તરફ વધી જાય છે. ડીજીટલ માધ્યમના જમાનામાં પણ પ્રિંટ માધ્યમમાં જીવિત છે અને રહેશે, કારણ કે પ્રિંટ માધ્યમ ખબરને સચોટ રાખે છે અને પૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડે છે તથા લોકોનો વિશ્વાસ જે પ્રિંટ માધ્યમ પર છે તેને ધ્યાનમાં રાખીને કામ કરે છે. દેશના સૌથી જૂના જાહેર માધ્યમ તરીકે અખબારો એ પોતાની વિશ્વસનિયતા જાળવી રાખી છે, નવા નવા માધ્યમો આજે લોકો સુધી સાચી ખોટી માહિતી પહોચાડે છે ત્યારે અખબારો હવે માત્ર માહિતી નહી પણ જ્ઞાન અને સત્યના વાહક બની રહ્યા છે. પ્રણવ ગોલવેલકરે આ પ્રસંગે તેમની કારકિર્દીના કેટલાક રોચક પ્રસંગો પણ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.
આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું. પેનલ ચર્ચા દરમિયાન વિષયને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યાં. જેના પ્રણવ ગોલવેલકરે જવાબો આપ્યા હતા. આ સંવાદમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન, ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કર તેમજ રાજ્યની વિવિધ મીડિયા સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પત્રકારો જોડાયા હતા.
અહીંયા દર્શાવેલી લિંક પર ક્લિક કરીને તમે લાઇવ પ્રસારણ જોઇ શકો છો – NIMCJ: Freedom of Expression.