- માર્ગ સલામતી સુનિશ્વિત કરવા મોટર વ્હીકલ એક્ટના મોટર વાહન અધિનિયમમાં કરાયો સુધારો
- હવે ટ્રાફિકના ગુના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડની વસૂલાત કરાશે
- આ નિર્ણયથી RTO સંબંધિત કામગીરીમાં રહેલી જટિલતાઓ પણ થશે દૂર
ગાંધીનગર: રાજ્યમાં વાહનચાલકો દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે ત્યારે હવે રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતા દંડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિકના ગુના બદલ જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડની વસૂલાત કરવામાં આવશે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત સમયે ડ્રાયવર, કંડકટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી બમણો દંડ વસૂલાતો હતો.
હવે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પાસેથી જ દંડની વસૂલાત કરાશે. માર્ગ સલામતી સુનિશ્વિત કરવા તેમજ RTO સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવાના હેતુસર ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ 1988માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં સુધારા કરાર માટે ગુજરાત સરકારે પણ અનેક પગલાં લીધા છે.
નોંધનીય છે કે નવા કાયદાના અમલીકરણ અંતર્ગત ટ્રાફિકના ગુનામાં સ્થળ પર દંડ ફીના સરળ દરો અમલમાં આવ્યા છે. ટ્રાફિકના ગુના માટે જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધિત જવાબદાર પાસેથી કાયદાકીય જોગવાઇઓ અનુસાર ગુંચવાડો ના થાય તે હેતુથી આ સરળીકરણ કરવામાં આવ્યું છે. જેથી હવે જવાબદાર વ્યક્તિ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવશે. વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલવામાં આવશે.
(સંકેત)