નવી દિલ્હીઃ દેશભરમાં વાહનચાલકોને ટોલ ટેક્સમાં છૂટ મળવાની સંભાવના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ પોતાના ક્ષેત્રીય અધિકારીઓને નવા ટોલ દરો પ્રસ્તાવિત કરવાની સૂચના આપી છે. આ માટે હવે સુધીના 2004-05ના ફુગાવાના દરના બદલે 2011-12ના ફુગાવાના દરને આધાર બનાવવામાં આવશે. 29 સપ્ટેમ્બરે એનએચએઆઈના ચંદીગઢ ક્ષેત્રિય કચેરી દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ, પ્રોજેક્ટ ડિરેક્ટરને નવા ટોલ દરો રજૂ કરવા માટે જણાવ્યું છે. એનએચએઆઈ આવતા અઠવાડિયાથી આ દરો અમલમાં લાવવા તૈયારીમાં છે.
માહિતી મુજબ, 2004-05ના આધારે લિંકિંગ ફેક્ટર 1.641 હતો, જ્યારે 2011-12ના આધારે તે 1.561 છે. આ બદલાવને કારણે ટોલ દરોમાં ઘટાડો થવાનો છે. નાના વાહનો માટે ટોલમાં આશરે 5 થી 10 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. 1 એપ્રિલ 2025થી ટોલ દરોમાં સરેરાશ 5 ટકા વધારો કરવામાં આવ્યો હતો. હવે નવા દરો લાગુ થતા આ વધારો પાછો ખેંચાઈ શકે છે, એટલે કે ટોલ રેટ પાછલા વર્ષની જેમ જ રહેવાની શક્યતા છે. હાલ દેશમાં એનએચએઆઈ હેઠળ 55 ટોલ પ્લાઝા કાર્યરત છે, જ્યાંથી દરરોજ આશરે રૂ. 9 કરોડની આવક થાય છે. માત્ર હિસાર કચેરી હેઠળના 10 ટોલમાંથી જ રોજે રૂ. 1.68 કરોડની વસૂલાત થઈ રહી છે. આમ વાહનચાલકો માટે આ નિર્ણય મોંઘવારી વચ્ચે મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે.

