1. Home
  2. ગુજરાતી
  3. નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું
નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

0
Social Share

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક સમયમાં જ ગૃહના તમામ નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરી શકે છે. જેમાં કાર્યક્રમના સંયુક્ત બહિષ્કારની જાહેરાત કરવામાં આવશે. જોકે, ઘણી પાર્ટીઓએ પહેલા જ કહી દીધું છે કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ નહીં લે.

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવા પર સવાલો ઉઠી રહ્યા છે. નેતાઓનું કહેવું છે કે, દ્રૌપદી મુર્મુ દ્વારા ઈમારતનું ઉદ્ઘાટન કરવાને બદલે પીએમ મોદી કરી રહ્યાં છે. જે રાષ્ટ્રપતિના અપમાન સમાન છે. એટલા માટે એક પછી એક રાજકીય પક્ષો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે. દરમિયાન એનસીપી, દ્રવિડ મુનેત્ર કઝગમ, તૂણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય સીપીઆઈ, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચીએ સંસદભવનના ઉદઘાટન કાર્યકરના બહિષ્કારનો નિર્ણય જાહેર કર્યો છે.

AAP નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને સંસદભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત ન કરવું એ ઘોર અપમાન છે. આ ભારતના દલિત આદિવાસી અને વંચિત સમાજનું અપમાન છે. PM મોદી વતી રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, NCP નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. પાર્ટીએ આ મુદ્દે અન્ય સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળો સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે.

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી દળોએ 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકે પાર્ટીના સાંસદ તિરુચિ સિવાએ કહ્યું કે, અમારી પાર્ટી નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે નહીં. અમે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. BRS સાંસદ કે કેશવ રાવનું કહેવું છે કે, અમે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, નિર્ણય લેવાનો બાકી છે.

લોકસભામાં ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે ટીએમસી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. રાજ્યસભામાં ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને ટ્વિટર પર લખ્યું કે, સંસદ માત્ર નવી ઇમારત નથી. તે વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, દાખલાઓ અને નિયમો સાથેની સ્થાપના છે. આ ભારતીય લોકશાહીનો પાયો છે. વડાપ્રધાન મોદી કદાચ આ વાત સમજી શકતા નથી. તેમના માટે રવિવારે નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન ‘મારું, મારું અને મારા માટે’ સિવાય બીજું કંઈ નથી. સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું કે તેમની પાર્ટી સમારોહમાં હાજરી આપશે નહીં.

વાસ્તવમાં, 28 મેના રોજ બપોરે 12 વાગ્યે પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. તેના પર કોંગ્રેસના નેતાઓ અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમના બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસનું કહેવું છે કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ થવું જોઈએ. મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય શિષ્ટાચાર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન સંદેશા જારી કરે તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code