RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
- તમારું કાર્ય સામાન્ય નથી તમે રાષ્ટ્રના નચિકેતા છોઃ સંતશ્રી દિવ્ય વલ્લભ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી
કંડારી, 10 મે, 2026 – RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવશે. આ ઉપરાંત દૈનિક જીવનમાં સમયનું મહત્ત્વ, સ્વચ્છતા અને ‘પંચ પરિવર્તન‘ જેવા પાયાના વિષયો પર પણ પ્રશિક્ષણ આપવામાં આવશે.

વર્ગનો ઉદ્ઘાટન સમારંભ સંતશ્રી દિવ્ય વલ્લભ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારીના આશીર્વચન સાથે યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી શ્રી બાબુભાઇ ગુજરાતી, વર્ગ કાર્યવાહ શ્રી જયંતિભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરિશા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના આશીર્વાદનમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે અને વિશ્વને શ્રેષ્ઠ જીવનના પથનું માર્ગદર્શન આપવા માટે જે પોતાનો સમય આપીને અહિયાં પધાર્યા છો તે તમામને વંદન. તમારું કાર્ય સામાન્ય નથી તમે રાષ્ટ્રના નચિકેતા છો. 100 વર્ષના તપના કારણે સમગ્ર દેશની જનતા સંઘને આજ પ્રેરણાશ્રોત તરીકે જોવે છે. રાષ્ટ્ર પ્રથમના ભાવથી અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં ઈશ્વર આપને શક્તિ અને સામર્થ્ય આપે એજ પ્રાર્થના.

વર્ગ કાર્યવાહ શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું કે સંઘ કાર્યના વિસ્તાર, વિચારોના દૃઢીકરણ અને સારા ગુણોના નિર્માણ માટે વર્ગોનું થાય છે. વ્યક્તિ નિર્માણ, ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો આપણો સંકલ્પ છે. આપણે આપડા આચરણથી પરીવર્તન કરીએ ખાલી વાતો થી નહીં. આ વર્ગમાં દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાંથી 174 શિક્ષાર્થીઓ, 30 શિક્ષક, 26 પ્રબંધક, કુલ 230 કાર્યકર્તાઓ સહભાગી થયા છે.


