જામનગર : શહેરમાં ઈન્દિરા માર્ગ ઉપરનો ફલાય ઓવર રૂ.193 કરોડના ખર્ચે કામ અપાઈ ગયા બાદ બે કરોડ જીઈબીને પોલ ખસેડવા ભરી દેવાયા પછી કોન્ટ્રાકટર દ્વારા સાઈડની કેનાલને સર્વિસ રોડ તૈયાર કરવા જેવા પ્રાથમિક કામ શરૂ કરી દેવાતા હવે લોકોને શ્રધ્ધા જાગી છે કે ફલાય ઓવર નવનિયુકત મ્યુનિ.કમિશનર વિજય ખરાડીના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ પ્રજા માટે ખુલ્લો મુકાશે.
જામનગર શહેરને મહાનગર તરફ દોરી જનારા ઈન્દિરા માર્ગના સૌરાષ્ટ્રના સૌથી લાંબા એવા 3250 મીટર લાંબા ફલાય ઓવર માટે છેલ્લી બે ટર્મથી મનપા બજેટમાં જોગવાઈ કરતી હતી. પરંતુ તેમાં તેને સફળતા મળેલ ન હતી. ત્યાર પછી ગત ટર્મના મેયર દ્વારા પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. છેલ્લી મનપાની ચૂંટણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જામનગરના ઈન્દિરા રોડ મધ્યેના જુના રેલવે ટ્રેકવાળા રસ્તા ઉપર ફલાય ઓવર બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપી નાણાંની પણ ફાળવણી કરી હતી. ત્યારપછી આ ફલાય ઓવર માટે 193 કરોડનું ટેન્ડર બહાર પાડી મંજુર કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફલાય ઓવર બનાવતાં પહેલા રસ્તામાં આવતાં થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર દૂર કરવાના પ્રાથમિક કાર્ય માટે જામ્યુકોએ પીજીવીસીએલને બે કરોડની રકમ ભરપાઈ કરી આપી છે. ત્યાર પછી 3250 મીટર લાંબા આ ફલાય ઓવર બનાવવામાં આવનાર હોય, તેની આજુબાજુ ચાર જંકશન ઉપર સર્વિસ રોડ બનાવવા માટે અને રોડ કપાતમાં આવતાં સ્ટ્રકચરોને દૂર કરવાનું કાર્ય પૈકી ઈન્દિરા રોડ પર આવેલા જાડાના બિલ્ડીંગ પાસેની ખુલ્લી કેનાલને સમારકામ કરી મજબૂતીકરણ કરવા અને તેના ઉપર સ્લેબ ભરવા માટેની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર મનપા દ્વારા સુમેર કલબની બાજુમાં આવેલા પાલિકાના પડતર પ્લોટનો ઉપયોગ કોન્ટ્રાકટરને કોંક્રીટ પ્લાન ઉભો કરવા તેમજ અન્ય સ્ટ્રકચર ફાળવી દેવામાં આવતાં ત્યાં કોન્ટ્રાકટર દ્વારા પોતાની ઓફિસ અને કોંક્રીટ પ્લાન ઉભો કરી દેવામાં આવ્યો છે. આ ફલાય ઓવર અંગે વધુ વિગત આપતાં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના ઈજનેરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં આ સૌથી લાંબા એવા 3250 મીટર ફલાય ઓવરને બન્ને બાજુ એપ્રોચ રોડ 11 મીટરના બનાવવામાં આવશે, ઉપરાંત વચ્ચે સેન્ટરમાં 15 મીટર બનાવવામાં આવશે. આ ફલાય ઓવરમાં ચાર જંકશન થશે. જેમાં સાત રસ્તા, ગુરૂદ્વાર અને અંબર ચોકડીનું જંકશન 5.30 મીટર ઉંચાઈનું થશે.