ગુજરાત સરકાર સામે હવે સાત હજાર કરાર આધારિત કર્મચારીઓએ મોરચો માંડ્યો
અમદાવાદ: ગુજરાત સરકાર સામે હવે કરાર આધારિક કર્મચારીઓ પણ મોરચો માંડ્યો છે. કરાર આધારિત કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સાતથી આઠ હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. અંદાજે 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતરર્ગત ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ લડતના મંડાણ કર્યા છે. જિલ્લા, તાલુકા, રાજ્યકક્ષા સુધી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો છે. તેમણે સરકાર સમક્ષ સમાન કામ, સમાન વેતન આપવા માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરવા અને પગારની વિસંગતતાને દૂર કરવા સરકારને અપીલ કરી છે. 7 ટકા જેટલો નજીવો પગારવધારો અપાતા કર્મચારીઓ નારાજ થયા છે. અને કર્મચારી દીઠ 2000 રૂપિયાથી લઈ 5000 રૂપિયા જેટલો પગાર કાપી લેવાનો પણ આક્ષેપ કરાયો છે. એક તરફ પગાર વધારો, બીજી તરફ પગાર કાપીને પરત લઈ લેવાનો કર્મચારી મંડળે આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકો, દિવ્યાંગોના સ્પેશિયલ એજ્યુકેટર, ઓપરેટર, MIS કોર્ડીનેટર, બાળમિત્રો, રેંકટર એજ્યુકેશનની મહિલાઓ, પ્યુન સહિત જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા અંદાજે 7,000 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કરાર આધારિત કર્મચારીઓને પગારમાં અન્યાય થઈ રહ્યો છે. અગાઉ પણ આ મામલે સરકારમાં રજુઆતો કરવામાં આવી હતી પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. (file photo)