વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત: પી. વિજયનનો રાહુલ ગાંધી પર પ્રહાર
તિરુવનંતપુરમ, 13 જૂન 2026: કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયને શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીની રાજકીય શૈલીની ટીકા કરતા વિજયને જણાવ્યું હતું કે, તેમનું વલણ વિપક્ષી ‘ઇન્ડિ’ ગઠબંધનને મજબૂત કરવાના બદલે નબળું પાડે છે અને ઘણી વખત તેનો સીધો ફાયદો ભાજપને મળે છે. તાજેતરમાં ઇન્ડિ ગઠબંધનની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજકીય વિરોધી હોવાના કારણે પી. વિજયનને ગળે ન લગાવવાની વાત કહી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા વિજયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “કોણ કોને ગળે લગાવે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.”
પૂર્વ સીએમ વિજયને મોટો દાવો કરતા જણાવ્યું કે ગઠબંધનની બેઠકોમાં માત્ર ડાબેરી પક્ષો જ નહીં, પરંતુ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય બિન-કોંગ્રેસી પક્ષોના નેતાઓએ પણ કોંગ્રેસના વલણ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું, “આજે વિપક્ષમાં જે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે, તે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીના અક્કડ વલણને કારણે છે. તેમનું આ વલણ ગઠબંધનને મજબૂત નથી કરતું. હું પહેલા પણ કહી ચૂક્યો છું કે રાહુલ ગાંધી પોતાના આવા પગલાઓથી અજાણતા જ ભાજપના હિતોને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.”
રાજકીય નિવેદનબાજી ઉપરાંત વિપક્ષના નેતા પીનરાઈ વિજયને રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહેલા ઘાતક ‘નિપાહ વાયરસ’ના સંક્રમણને લઈને વર્તમાન કેરળ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર આ ગંભીર રોગચાળા સામે લડવામાં અત્યંત સુસ્ત અને ઉદાસીન વલણ અપનાવી રહી છે. પત્રકારો સાથેની વાતચીતમાં વિજયને જણાવ્યું હતું કે, નિપાહ વાયરસનો પ્રકોપ એ અત્યંત સંવેદનશીલ અને ગંભીર વિષય છે અને તેની સામે તે જ સ્તરની ગંભીરતા સાથે કામ લેવું જોઈએ. પીનરાઈ વિજ્યનએ જણાવ્યું હતું કે, “હું ડોક્ટરોની કામગીરી કે તેમની ક્ષમતા પર સવાલ નથી ઉઠાવી રહ્યો, પરંતુ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે સમગ્ર સ્વાસ્થ્ય તંત્રને યુદ્ધના ધોરણે સક્રિય કરીને જરૂરી પગલાં ભરવા જોઈએ. કમનસીબે હાલના તબક્કે સરકારમાં આવી કોઈ ગંભીરતા દેખાઈ રહી નથી.”


