શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા સહિત અન્ય 4 દેશો માટે ફ્રી વિઝાની કરી જાહેરાત
દિલ્હી- તાજેતરમાં શ્રીલંકાએ કેટલાક દેશો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજશ્રીલંકાની સરકારે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે ફ્રી વિઝાને મંજૂરી આપી છે.
શ્રીલંકાની કેબિનેટે ભારત સહિત સાત દેશો માટે વિઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના નાગરિકોને 31 માર્ચ સુધી વિઝા ફ્રી એન્ટ્રી મળશે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ આ માહિતી આપી હતી.
સાબરી કહે છે કે આ પગલાથી આવનારા વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. “અમે આગામી વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા વધીને 5 મિલિયન થવાની અપેક્ષા રાખીએ છીએ,” મંત્રાલયે શ્રીલંકાના મીડિયાને ટાંકીને જણાવ્યું હતું. આ પગલાથી પ્રવાસીઓના વિઝા મેળવવા માટેના નાણાં અને સમયની પણ બચત થવાની અપેક્ષા છે.
વિદેશ મંત્રી સાબરીએ એક નિવેદનમાં કહ્યું કે તેને 31 માર્ચ, 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. કેબિનેટના નિર્ણય અનુસાર, આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાત લેવા માટે કોઈપણ ફી વગર વિઝા મેળવી શકશે. 2019માં ઇસ્ટરના દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટો બાદ શ્રીલંકામાં પ્રવાસીઓનું આગમન ઘટી ગયું હતું. આ વિસ્ફોટોમાં 11 ભારતીયો સહિત 270 લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. તે જ સમયે, દેશમાં કોરોના રોગચાળો અને ત્યારબાદ આર્થિક સંકટને કારણે, પ્રવાસીઓની અવરજવર વધારી શકાઈ નથી. જેને લઈને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.