
સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા. વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લીધે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ કરી દેવામાં આવે તો મુશ્કેલીમાં મુકાવવું પડે. તેથી હાલ વિદેશના પ્રવાસે જવું યોગ્ય નથી એવું લોકો માની રહ્યા છે. કેટલાક દેશોએ તો આઈટીપીસીઆર ટેસ્ટ એરપોર્ટ પર કરાવ્યા બાદ ફરજિયાત કોરોન્ટાઈનમાં રહેવું પડે છે. એટલે વિદેશ જવા માગતા પર્યટકોનો ખર્ચ વધી જાય તેમ છે. એટલે લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે.
ટ્રાવેલ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ થયા છે. શહેરની નાની-મોટી હીરા કંપનીના વેપારીઓ વેપાર અર્થે યુરોપ સહિતના જુદા-જુદા દેશોમાં જતા હોય છે. તે સાથે હાલમાં લગ્ન સિઝન પણ ચાલી રહી હોઈ વિદેશ લગ્ન પ્રસંગમાં જવા માગતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. આ પેકેજીસમાં સરેરાશ 15થી 30 મુસાફરો હોય છે. આમ કુલ 25 હજાર લોકોએ ટૂર કેન્સલ કરાવી છે. યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા પેકેજ 2.50 લાખથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા ટુર્સ પેકેજ રૂ. 1 લાખથી શરૂ થતા હોય છે. બીજીતરફ, યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈ પરત આવી રહ્યા છે.