
સુરેન્દ્રનગરઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી અને નૂતન વર્ષના દિને દરેક પરિવાર દ્વારા મીઠાઈ અને ફરસાણ ખરીદવામાં આવે છે. નવા વર્ષની શુભેચ્છા આપવા આવનારા સગા-સંબધીઓને પણ મીંઠાઈ ખવડાવીને ગળ્યું મોં કરાવવામાં આવતું હોય છે. ત્યારે વધતા જતી મોંઘવારીમાં ગરીબ પરિવારો પણ મીંઠાઈ અને ફરસાણ ખરીદી શકે, અને તમામ વેપારીઓ એક સમાન ભાવ શકે તે માટે તંત્ર દ્વારા વેપારીઓને ભાવ બાંધણું કરવા માટે સમજાવવામાં આવતા વેપારીઓએ નહીં નફો-નહીં નુકશાનના ધોરણે મીઠાઈ અને ફરસાણના ભાવ નિયત કર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શુરેન્દ્રનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને ફરસાણ અને મીઠાઇ વાજબી ભાવે મળી રહે એ માટે સીટી મામલતદાર અને પુરવઠા ટીમે શહેરના મીઠાઇના વેપારીઓ સાથે બેઠક યોજી હતી .જેમાં ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે ભાવમાં ઘટાડો કરાયો હતો. જેમાં મીઠાઇ અને ફરસાણના ભાવોમાં કિલોએ ભાવ ઘટાડો કરાયો હતો.
સુરેન્દ્રનગર સીટી મામલતદાર એચ.એસ.હુબલ અને પુરવઠા મામલતદાર જે.વી.ભટ્ટી, ડેપ્યૂટી મામલતદાર જયદિપસિંહ રાણાએ શહેર વિસ્તારના ફરસાણ અને મીઠાઇના વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં મીઠાઇ-ફરસાણના વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ દિલિપ શેઠ અને કમલેશ શેઠે એવી રજુઆત કરી હતી કે, હાલ બેસનના ભાવમાં, તેલના ભાવમાં અને મરચાના ભાવમાં વધારો થતા નફો ઘટવાની સાથે લેબર ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાત દુકાનનું ભાડુ, વીજળી ખર્ચ, બળતણ ખર્ચ વગેરેમાં પણ વધારો થતા નફો ઘટી ગયો છે. છતાં પણ વેપારીઓ નહીં નફો નહીં નુકશાનના ધોરણે મીંઠાઈ અને ફરસાણ વેચવા તૈયાર છે.
આ અંગે મામલતદારે જણાવ્યું કે, આ ભાવ આગામી દિવાળી તહેવારો દરમિયાન તા.21-10-022થી 26-10-2022 સુધી એમ 5 દિવસ પૂરતા ભાવો અમલી રહેશે. જ્યારે સુરેન્દ્રનગર, દૂધરેજ, જોરાવરનગર, રતનપર ખાતે મીઠાઇ અને ફરસાણનું વેચાણ કરતા વેપારઓએ અને ગ્રાહક સુરક્ષા ધારા મુજબ દરેક દુકાને ભાવ અંગેનું બોર્ડ ફરજીયાત મૂકવાનું રહેશે એવી પણ સુચના આપવામાં આવી હતી.