અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ અવાર-નવાર ઉઠતી રહે છે. ગામડાંમાં ફરજ બજાવતા તલાટી-મંત્રીથી લઈને છેક રેવન્યુ વિભાગના અધિકારીઓ સુધી ભ્રષ્ટ્રાચાર થતા હોય છે. છેલ્લા મહિનામાં જ એસીબીએ લાંચ લેતા ઘણા કર્મચારીઓ-અધિકારીઓને પકડી પાડ્યા છે. છડેચોક લાંચ માગનારા સામે પણ હવે લોકોમાં જાગૃતિ આવતી જાય છે. ધોલેરામાં તલાટીએ વાડાની આકારણી માટે ફરિયાદી પાસેથી રૂપિયા 20,000ની લાંચ માગી હતી.જેમાં ફરિયાદીએ ત્રણ હજાર આપ્યા હતા, બાકીના રૂપિયા આપવા માગતા ન હોય એન્ટી કરપ્શન વિભાગને ફરિયાદ કરી હતી. એસીબીએ છટકુ ગોઠવીને રૂપિયા 17 હજારની લાંચ લેતા તલાટીને રંગેહાથ ઝડપી લીધા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરીમાં કામ કરાવવા માટે લાંચ લેનારા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ જિલ્લામાં વાડાની આકારણી માટે 20 હજારની તલાટીએ લાંચ માંગી હતી. જેમાંથી 3 હજાર અગાઉ લઇ લીધા હતા અને બાકીના 17 હજાર લેવા જતા હતા ત્યારે ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. ધોલેરાના તલાટી મેહુલ ગોસ્વામીએ ફરિયાદી પાસે વાડાની આકારણી કરવા 25,000 લાંચ માંગી હતી. જેમાં રકઝકના અંતે 20,000 આપવાનું નક્કી થયું હતું. ત્યારે ફરિયાદીએ 3000 જે તે દિવસે આપી દીધા હતા જયારે બાકીના 17000 આકારણી લેવા જાય ત્યારે આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય ACBનો સંપર્ક કર્યો હતો જેથી છટકું ગોઠવ્યું હતું. તલાટી સાથે ફરિયાદીએ વાતચીત કરી હતી ત્યારે તલાટીએ 17000 ગાડીના ખાનામાં મુકવાનું કહ્યું હતું તે 17000 ફરિયાદીએ મુક્યા હતા. આમ 17000ની લાંચ લેતા તલાટી રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ACBએ તલાટીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.