Site icon Revoi.in

કચ્છના નાના રણમાં માવઠાને લીધે ચારેકોર પાણી ભરાતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનારણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં માવઠાને કારણે રણમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી સમયાંતરે કમોસમી વરસાદના ભારે ઝાપટાં પડતા અફાટ રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જાવા મળી રહ્યા છે. તેથી અંદાજે રૂ. 30 કરોડની કિંમતનું 7 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં ઓગળી રહ્યું છે. વરસાદના કારણે રણમાં પાણી ભરાઈ જતાં હોડીઓ ચલાવવી પડી રહી છે. અગરિયા પરિવારો હોડીમાં બેસીને પોતાની સોલાર પેનલ અને અન્ય સામાન લઈ જઈ રહ્યા છે. પેઢી દર પેઢીથી મીઠું પકવતા 3500 અગરિયા પરિવારોની રોજગારીને ફટકો પડ્યો છે.

કચ્છના નાના રણ વિસ્તારમાં વરસાદને લીધે પાણી ભરાતા મીઠા ઉદ્યોગના વેપારીઓ પણ હવે કુદરત સામે લાચાર બન્યા છે. ભર ઉનાળે કાળી મજુરી કરીને અગરિયાઓએ મીઠાના પહાડ જેવા ઢગલાં કર્યા હતા. એના પર વરસાદી પાણી ફરી વળતા મીઠાના ઢગલા ઓગળવા લાગ્યા છે. પાણી ભરાવવાને લીધે અગરિયાઓ હવે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી, એટલે મીઠાની સીઝન પૂર્ણ થયા પહેલા અગરિયાઓ પોતાના વતન પરત ફરવા લાગ્યા છે. દરમિયાન ઘણા વેપારીઓ પોતાનું મીઠું ખારાઘોડાથી ધ્રાંગધ્રાના કુડા રણમાં ખસેડી રહ્યા છે.

અગરિયાઓ અને મીઠાના વેપારઓ પણ કુદરતી આપત્તિના કારણે મુશ્કેલીમાં મુકાયો છે.  અગરિયા સમુદાય દેશના લોકોના ભોજનને સ્વાદિષ્ટ બનાવવા કાળી મજૂરી કરીને મીઠુ પકવે છે, પરંતુ આજે તેમની સમસ્યાઓ તરફ કોઈનું ધ્યાન નથી.