સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો
- ગુજરાતના ૧૫૦૦ વર્ષના ઇતિહાસને “વિરાસતથી વિકાસ” યાત્રા કાર્યક્રમ દ્વારા ઉજાગર કરાયો
- “કેળવણીનો આધાર અધ્યાપકોની નિષ્ઠા પર રહેલો છે, વિદ્યાર્થીઓના ભાવ વાંચવાની કુશળતા ધરાવતો વ્યક્તિ જ સાચો અધ્યાપક બની શકે છે” – શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર, 6 માર્ચ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ૨૮મા વાર્ષિકોત્સવની ઉજવણી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને થઈ. કાર્યક્રમની શરૂઆત ઋષ્મીતા પરમારના કંઠે સુંદર પ્રાર્થના તેમજ કોલેજની પરંપરા અનુસાર પ્રકૃતિ પૂજન દ્વારા કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો, જેમાં રિસર્ચ અને વિવિધ ક્ષેત્રે થયેલા કરારો તેમજ આગામી શરુ થનાર વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.

વાર્ષિકોત્સવના અધ્યક્ષીય ઉદબોધનમાં શંકરસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું કે અધ્યાપકોએ પોતાના વિદ્યાર્થીની આંખમાં તેની દ્વિધા વાંચવાની ક્ષમતા કેળવવી પડશે. અધ્યાપકની વર્ગખંડમાં માત્ર વ્યાખ્યાન આપવાની જવાબદારી નથી તે વિદ્યાર્થીનો કારકિર્દી ઘડતા છે. સાથે તેઓએ જણાવ્યું કે શિક્ષણ સાથે કેળવણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન જરૂરી છે.
60 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ
આ કાર્યક્રમમાં ગત વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ પરિણામ લાવનાર સંસ્થાના 60 વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા આર્થિક સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમતગમત, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ કોપર્સ, સંસ્કૃતિક, સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટી કે રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ પરિણામ લાવનાર વિદ્યાર્થી તેમજ અધ્યાપકોને અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત સમર્પણ એજ્યુકેશન અને રિસર્ચ કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા અને ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ ડૉ. જયવંતસિંહ સરવૈયાના વરદ હસ્તે સમ્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ આગામી સમયમાં સ્કોલરશીપ અને પુરસ્કાર મેળવનારની સંખ્યા ઉત્તરોત્તર વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજ ઉષા પ્રવીણ ગાંધીના કોમર્સ વિષયના હેડ અને ભારતના સુપરસ્ટાર રજનીકાંતના વોઈસ ઓવર આર્ટીસ્ટ ડૉ. મયુર વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પોતાના ઉદબોધનમાં કારકિર્દી ઘડતરમાં ધ્યેય, માર્ગદર્શન સાથે સંઘર્ષનું મહત્ત્વ સમજાવતા પોતાની આગવી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
“વિરાસતથી વિકાસ”ની નાટ્ય પ્રસ્તુતિ
ડૉ. સમીર ભટ્ટ દ્વારા લિખિત ૧૫૦૦ વર્ષની ગુજરાતની વિરાસત અને ત્યાંથી શરુ કરી વર્તમાન વિકાસની યાત્રા જેને ડૉ. હરીશ વ્યાસ દ્વારા શબ્દદેહ અર્પણ કરેલું અને ગુજરાતના જાણીતા કલાકાર જયકર ભોજક દ્વારા તૈયાર કરાયેલું નાટક “વિરાસતથી વિકાસ”ની પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સર્વેએ જય જય ગરવી ગુજરાતનો સામુહિક નાદ કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થિની કસક પટેલ, દક્ષા જેપાલ, મિત્તલ રબારી, ક્રિષ્ના સોનરથ અને જાગૃતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું, આભાર વિધિ કોલેજના આઈ કયુ એ સી સંયોજક પ્રા. વૈભવ કોઠારી દ્વારા કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. દીપક પંડયા અને પ્રા. શ્વેતા પંવાર દ્વારા કરવામાં આવ્યું હતું.


