પાલનપુર પાલિકાએ 32 કરોડના ખર્ચે બનાવેલી ગરીબો માટેની આવાસ યોજના 7 વર્ષથી ધૂળ ખાય છે
પાલનપુરઃ સરકાર દ્વારા પ્રજાના ટેક્સના ટેક્સના રૂપિયે અનેક યોજનાઓ બનાવવામાં આવતા હોય છે. જેમાં ઘણી યોજનાઓ તો અધિકારીઓ કે પદાધિકારીની લાપરવાહીથી નિષ્ફલ જતી હોય છે. અને પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેક યોજના અમલમાં મુકી રહ્યા છે. પરંતુ કેટલાક સ્થળોએ તંત્રની બેદરકારીથી ગરીબોને આવાસનો લાભ મળતો નથી. પાલનપુર શહેરમાં નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે 7 વર્ષ અગાઉ સરકારના 32 કરોડ રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન મળ્યું નથી. નગરપાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 7 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દૂરઉપયોગ થઇ ગયો, જો કે આ વાત ને સાત વર્ષ વીત્યા છતાં ય આજદિન સુધી કોઈ જવાબદારો સામે પગલાં ન લેવાતા સ્થાનિક લોકોમાં રોષ ભભુક્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા મથક પાલનપુર નજીક 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા સાત વર્ષથી ધૂળ ખાઈ રહી છે. છતાં યે પાલનપુર નગરપાલિકા અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી, પાલનપુરમાં વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વગર ૩2 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા, પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે જ્યારે સરકારના 32 કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 1986 થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ 2012 માં ઓક્સીડન્ટ પ્લાન્ટ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ 8 કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં છે તેનો ઉપયોગ નથી થયો અને શહેર પરના ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે. સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી ગામના લોકોને મકાન માટે મુશ્કેલીઓ છે, ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઉભા કરી દીધા હતા. જો કે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે, નથી હેતુફેરની મંજૂરી આપી, કોઈપણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામા આવી નથી અને મનમાની કરી અને આ રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે, જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંચે પણ વિરોધ નોંધાવ્યો હતો.છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલનપુર નજીક રાજીવ આવાસ યોજનાના 1392 મકાન 32 કરોડના ખર્ચે બન્યા હતા જે આજે સાત વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસી યોજના ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે જેના કારણે વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે ભાજપ શાસિત નગર પાલિકા ઉપર સરકારના 33 કરોડ રૂપિયા પાણીમાં નાખી દીધાના આક્ષેપ કર્યા હતા.