
રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની અસર, દેવભૂમિ દ્વારકાનું મંદિર હવે 15 મે સુધી બંધ
- દેવભૂમિ દ્વારકા મંદિર 15 મે સુધી ભક્તો માટે બંધ
- પૂજારી દ્વારા નિત્યક્રમ મુજબ સેવા કરશે
- શ્રીજીના થઇ શકશે ઓનલાઈન દર્શન
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેવભૂમિ દ્વારકા જગત મંદિર આગામી 15 તારીખ સુધી ભાવિકો માટે બંધ રહેવાનું છે.
તે વાતમાં કોઈ શંકા નથી કે, ભક્તોને કોરોનાકાળમાં માત્ર ભગવાન પર વિશ્વાસ છે પણ ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને મંદિરના પ્રશાસન દ્વારા ભાવિકો શ્રીજીના દર્શન ઓનલાઇન થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દ્વારકાનું જગત મંદિર ભક્તો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યું હતું જે હવે વધુ 15 દિવસ સુધી બંધ રહેશે. 15 મે 2021 સુધી જગત મંદિરને બંધ રાખવાનો નિર્ણય વ્યવસ્થાપન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.જગત મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા ભગવાનને નિત્યક્રમ મુજબ સેવા શરૂ રહેશે. www.dwarkadhish.org વેબસાઈટ પરથી પ્રભુના દર્શનનો લાભ લોકો લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
દેશમાં અન્ય મંદિરોના પ્રશાસન દ્વારા પણ આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે અન્ય મંદિરોમાં પણ ભક્તોને ઓનલાઈન ભગવાનના દર્શન કરવા મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વાત પણ લોકોએ માનવી જરૂરી છે કે, કોરોનાકાળમાં મંદિર, સ્કૂલ, ગાર્ડન આ બધા તેવા સ્થળો છે કે જ્યાં પબ્લિકની ભીડ ભેગી થવાની સૌથી વધારે સંભાવના રહેતી હોય છે. હાલ કોરોનાને ટાળવા માટે સરકાર તો તમામ પ્રયાસ કરી રહી છે પરંતુ સાથે સાથે અન્ય લોકો પણ પ્રયાસ કરી રહ્યા છે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થાય. બેદરકારી જ સૌથી મોટી ભૂલ સાબિત થઈ રહી છે.