
ગુજરાત યુનિના કન્વેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધી એન્ટ્રી મળશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધનવંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. આજે સવારથી જ ધનવંતરી હોસ્પિટલમાં ટોકન વગર સીધા આવનારા દર્દીઓને પણ દાખલ કરાઇ રહ્યાં છે. દર્દીની ગંભીરતાના આધારે ટોકન વગર પણ એડમિશન અપાઈ રહ્યું છે. સાથે જ દાખલ થયેલા દર્દીઓની ઇમરજન્સી સેવા માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ પણ હોસ્પિટલની બહાર કાર્યરત કરાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીના જીએમડીસી ગ્રાઉન્ડ પર આવેલા કન્વેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર આજે પણ દર્દીઓ અને તેમના સ્વજનોની લાંબી લાઈન જોવા મળી છે. વહેલી સવારથી જ દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા. ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ મોટાપાયેલ ટોકન સિસ્ટમ પર થયેલા હોબાળા બાદ હવે શુક્રવારથી ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવી રહ્યાં છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે.
નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે, જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.