PoK માં સ્થિતિ અત્યંત ગંભીર બની, સમગ્ર પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવાની ભીતી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં અત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા જન આંદોલનકારીઓ પર કરવામાં આવી રહેલા અત્યાચાર અને ક્રૂર દમનને કારણે PoK સળગી રહ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ મુજબ, પાકિસ્તાની શાસન અત્યારે ‘આગ સાથે રમી રહ્યું છે’ અને આ અશાંતિનો વ્યાપ હવે PoK થી બહાર નીકળીને સમગ્ર પાકિસ્તાનમાં ફેલાઈ શકે છે, જેને નિયંત્રિત કરવું પાકિસ્તાની સરકાર માટે અશક્ય બની જશે.
- અત્યાચારની ચરમસીમા: 450 થી વધુ લોકોની ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદ દ્વારા સુરક્ષા દળોને ‘બ્રુટ ફોર્સ’ (બરબર બળ) વાપરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલી ‘જોઇન્ટ આવામી એક્શન કમિટી’ (JAAC) નો દાવો છે કે અત્યાર સુધીમાં ૪૫૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૨૦ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુઝફ્ફરાબાદ, મીરપુર, પૂંછ અને નીલમ વેલી જેવા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવી છે.
-
શા માટે આ આંદોલન પાકિસ્તાન માટે ‘ભસ્માસુર’ સાબિત થશે?
આર્થિક કંગાળી: પાકિસ્તાન પોતે આર્થિક રીતે પાંગળું છે. બજેટની પ્રક્રિયા અટવાયેલી છે, છતાં સરકાર આંદોલનકારીઓને પકડવા માટે ‘ઇનામ’ જાહેર કરી રહી છે. લશ્કરી ખર્ચ અને ઘટતા આર્થિક સંસાધનોને કારણે સરકાર આંતરિક રીતે વિભાજિત છે.
ગ્લોબલ પ્રેશર: વિદેશમાં આવેલા પાકિસ્તાની દૂતાવાસો સામે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે, જે આવનારા દિવસોમાં વધવાની પ્રબળ શક્યતા છે.
રાજકીય ફૂટ: પાકિસ્તાનના રાજકીય વર્ગમાં જ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અનેક નેતાઓ ચેતવણી આપી રહ્યા છે કે આ આગ ઇસ્લામાબાદ અને કરાચીના રસ્તાઓ સુધી પહોંચી શકે છે.
સૈન્યની નિષ્ફળતા: પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ રહી છે. JAAC ને ‘આતંકવાદી’ ગણાવી પ્રતિબંધ મૂકવો એ સત્તાવાળાઓની મોટી ભૂલ સાબિત થઈ રહી છે.
-
માગણીઓમાં બદલાવ: વિકાસથી આઝાદી તરફ…
શરૂઆતમાં PoK ના લોકો માત્ર પાયાની સુવિધાઓ અને વિકાસની માંગ કરી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાની શાસનના દમનને કારણે હવે આ આંદોલન ‘સ્વાયત્તતા’ અને ઇસ્લામાબાદના સીધા શાસનના અંતની માંગ સુધી પહોંચી ગયું છે. સરકાર દ્વારા આંદોલનકારી નેતાઓ પર રાજદ્રોહના ખોટા કેસ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કેમ્પેઈનને કારણે આ અવાજને દબાવવો હવે અશક્ય બની રહ્યો છે. ગુપ્તચર અહેવાલો સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ પોતાની જ જનતા સામે જે યુદ્ધ છેડ્યું છે, તે તેમના માટે જ આત્મઘાતી સાબિત થઈ શકે છે.


