નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 1996માં થયેલી ફરક્કા જળસંધિ આગામી 12 ડિસેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે બિહારમાં એનડીએના સહયોગી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ સંધિને રિન્યુ કરવામાં ન આવે. સંજય કુમાર ઝાએ માંગ કરી છે કે, સંધિને લંબાવવાને બદલે બિહાર સહિત ગંગા બેસિન પર નિર્ભર તમામ રાજ્યોની વર્ષ 2050 સુધીની પાણીની જરૂરિયાતોનું વૈજ્ઞાનિક આકલન કરીને એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર શરૂઆતથી જ આ સંધિના વિરોધમાં રહ્યા છે, કારણ કે તેનાથી બિહારની જળ સુરક્ષા જોખમાઈ રહી છે.
રાજ્યસભામાં ‘વિશેષ ઉલ્લેખ’ હેઠળ પોતાની વાત રજૂ કરતા સંજય ઝાએ જણાવ્યું હતું કે, “જેડીયુનું માનવું છે કે આ સમજૂતી બિહારના વ્યાપક હિતોને નજરઅંદાજ કરે છે.” બિહાર સરકારમાં જળ સંસાધન મંત્રી રહી ચુકેલા સંજય ઝા અગાઉ પણ અનેક મંચો પરથી કેન્દ્ર સરકાર સમક્ષ ફરક્કા જળ કરાર પર પુનર્વિચાર કરવાની માંગ કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, “ફરક્કા બેરેજ મૂળ રૂપે કોલકાતા બંદર અને હુગલી નદીમાં પાણીનો પૂરતો પ્રવાહ જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યો હતો.”
બિહારની જળ સુરક્ષા પર વિપરીત અસર
સંજય ઝાએ જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બર 1996ના રોજ બાંગ્લાદેશ સાથે થયેલા આ કરારની બિહારની જળ સુરક્ષા પર માઠી અસર પડી છે. છેલ્લા ત્રણ દાયકાના અનુભવ પરથી સાબિત થયું છે કે ઓછા પાણીની મોસમમાં બિહારને ભારે જળસંકટનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દક્ષિણ બિહારમાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, બિહારના ગંગા બેસિન વિસ્તારમાં ખેતી, પીવાનું પાણી, ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે ગંગાનું પર્યાપ્ત પાણી મળવું અનિવાર્ય છે. પાણીની અછતના કારણે જમીન નીચેનું પાણી ઝડપથી ઘટી રહ્યું છે, જેના કારણે સિંચાઈ અને પીવાના પાણીની પૂર્વમાં ગંભીર અવરોધો ઊભા થઈ રહ્યા છે.
- વર્ષ 2050 સુધીમાં રાજ્યને કેટલા પાણીની જરૂર પડશે?
સંજય ઝાએ રાજ્યસભામાં બિહાર સરકારના અનુમાનો રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 2050 સુધીની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્યને આશરે 2,000 ક્યુસેક વધારાના પાણીની જરૂર પડશે. જો કે, વર્તમાન ફરક્કા જળસંધિ હેઠળ આ જરૂરિયાત કરતા ઘણું ઓછું પાણી મળે છે. તેમણે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે બિહાર સહિત ગંગા બેસિન પર નિર્ભર તમામ રાજ્યોની પાણીની વાસ્તવિક જરૂરિયાતોનું નવું અને વૈજ્ઞાનિક આકલન કરવામાં આવે અને તેના આધારે જ ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવામાં આવે.
ફક્કા જળસંધિનો ઇતિહાસ શું છે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 1996માં ફક્કા જળસંધિ થઈ હતી. આ સંધિ પશ્ચિમ બંગાળના ફરક્કા બેરેજ પર ગંગા નદીના પાણીની વહેંચણી માટે કરવામાં આવી હતી, જેના હેઠળ ઓછી પાણીની મોસમમાં પણ બાંગ્લાદેશને નિશ્ચિત માત્રામાં પાણી આપવામાં આવે છે. આ કરાર 30 વર્ષ માટેનો હતો, જે આગામી 12 ડિસેમ્બર 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

