Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં સરકારી ગોદામનાં છત પર પતરા નથી, અનાજ બગડી જવાની શક્યતા

Social Share

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પુરવઠા વિભાગના સરકારી ગોદામથી જિલ્લાની રેશનીંગની દુકાનોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કલેક્ટર કચેરી નજીક આવેલા આ સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છત પર પતરા ન હોવાથી અનાજ બગડવાની શક્યતા છે. પણ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી નજીક આવેલા સરકારી ગોદામમાં આઠ મહિના પહેલા આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ગોડાઉન પરના પતરા ઉડી ગયા હતા, જે પતરા આજુબાજુના મકાનો પર પડતા સ્થાનિકોને પણ નુકસાન થયું હતું. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા નવા પતરા નાખવાની તસ્દી લેવામાં આવી નથી. પરિણામે, ગરીબોના પેટમાં જતું અનાજ અત્યારે ખુલ્લી છત નીચે રાખવા માટે તંત્ર મજબૂર બન્યું છે. હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે, પરંતુ જો આગામી ઉનાળા કે ચોમાસા પહેલા આ પતરાનું રિપેરિંગ કરવામાં નહીં આવે, તો સંગ્રહ કરેલો અનાજનો જથ્થો સડી જાય અથવા બગડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આઠ મહિનાથી ખુલ્લી છત હેઠળ સંગ્રહિત થયેલું અનાજ જ જનતાને વિતરિત કરવામાં આવી રહ્યું છે. વહેલી તકે ગોડાઉનનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Exit mobile version